આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સોરઠી બહારવટીયા : ૨
 


“નારાયણરાવને સજા મળી ગઈ, મુરૂભા !” મેડીએથી માણસે આવીને કહ્યું.

“કાં ?”

“પાયખાનામાં થઈને ભુંડે હાલે ભાગી છૂટ્યો.”

“ક્યાં ગયો ?”

“જામપુરામાં.”

“જીવતો જાશે બેટો ?”

“જાવા દે મુરૂભા. બાપ, ભાગતલને માથે ઘા ન્હોય.” જોધાએ ધીરેથી શીખામણ દીધી.

ત્યાં સામેથી ધડ ! ધડ ! ધડ ! બંદુકોના ચંભા થાતા આવે છે. રીડીયા થાય છે. અને ભેરી ફુંકતો ફુંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે.

“આ કોણ ?”

“બાપુ સખારામ. બીજો જાલીમ, જીવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ. "

પાંચ દસ લડવૈયાને લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે. અને મુળુ માણેક બંદુક લઈ એને ટુંકો કરવા દોડે છે.

“ખમ્મા ! ભાઈ, જાળવી જા !” કહીને જોધાએ મુળુનું બાવડું ઝાલ્યું; “એને મરાય ? આટલી ફોજ સામે નીમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને. ”

મુળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો “હાલ્યો જા ભાઈ, ગાયકવાડના કુતરા, તને શું મારૂં ?"

પછી હુકમો દેવાયા.

“ભીમા ! તું વરવાળુ માથે પહોંચ ન જીતાય તો મ્હોં દેખાડતો મા. દરિયામાં ડુબી મરજે. ”

ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઉપડ્યો.