એવા આભપરા ડુંગર ઉપર રાજા શૈલકુમાર જેઠવાએ
ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળીયું ને સાફુંદો નામનાં
ત્રણ પૂરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા
પાણાઓની બખોલોમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને
ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં
પરગણાંમાંથી ખેડુતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા
ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર
મરણીયાપણાના રંગ તરવરી ઉઠ્યા : જોધો પોતાના ખરા
રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું :
એનું દિલ પ્રભુની સાથે લાગી ગયું :
મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો !
કમરૂં કસીને માણેકે બંધીયું અલા !
ગાયકવાડકે નમાયો — જોધો ૦
કેસર કપડાં અલાલા ! માણેકે રંગીયાં ને
તરવારેસેં રમાયો — જોધો ૦
જોધા માણેકજી ચડી અસવારી અલા !
સતીયેંકે સીસ નમાયો — જોધા ૦
ઉંચુ ટેકરો આભપરેજો અલ્લા !
તે પર દંગો રચાયો — જોધો ૦
શેખ ઈસાક ચયે સૂણે મુંજા સાજન !
દાતાર મદતેમેં આયો — જોધો ૦
[જોધો માણેક સાચા રૂપમાં આવ્યો. એણે પાતાનું દિલ પ્રભુ સાથે લગાવી દીધું. માણેકે કસી કસીને કમર બાંધી દુનિયામાં ડંકો