આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
સોરઠી બહારવટીયા : ૨
 


અને એ મલકનાં માનવી !

મૂળવે અંગરેજ મારિયા, કાગળ જાય કરાંચી
અંતરમાં મઢમ ઉદરકે, સૈરૂં વાત સાચી !

[મુળુ માણેકે અંગ્રેજોને માર્યા, તેના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહીયરોને પૂછવા લાગી કે “હેં બેન, મારા ધણીને મૂળુએ માર્યો એ સાચી વાત ?"]

એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડો ગજાવતો બારોટ ટારડી ઘોડીને સરપટાં મારતો મારતો ચાલી નીકળ્યો.

સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યું,

“માળે બારોટે દુવા સારા બણાવ્યા !”

બીજો સાંતીડાને ધીંહરૂં નાખીને મંડ્યો ગામ તરફ હાલવા. પહેલાએ પૂછ્યું “કાં ?”

“હવે સાંતી શીદ હાંકીએ ? મુરૂભાની ભેળા ભળી જાયેં. ભળીને ફરી વાર વાઘેરોનું જૂથ બાંધીએ.”

“હાલો તઈં આપણે ય.”

બેઉ ખેડુતો ચાલી નીકળ્યા. ઘાસનો ભારો વાઢીને પોતાના માથા પર ચડાવવા મથી રહેલ એક કોળી પણ થંભીને ઉભો થઈ રહ્યો. બે ઘડી વિચાર કરીને એણે પણ ભારો ફગાવી દીધો. દાતરડાનો ઘા કરી દીધો અને હાલ્યો. બીજાએ પૂછ્યું ”કાં ભાઈ ? કેમ ફટક્યું ?"

“જાશું મુળુભા ભેળા.“

“કાં ?”

"ભારા વેચી વેચીને દમ નીકળી ગયો !”