એ રીતે ઈ. સ. ૧૮૬૫, સપ્ટેમ્બર તારીખ ૨૬ ના રોજ રેવાકાંઠા જેલ તોડીને બહારવટીયો વીસ વાઘેર કેદીઓને લઈ કાઠીઆવાડમાં ઉતર્યો. ઓખામાં વાત ફુટી કે મુળુભા પાછો આવ્યો છે.
આવીને પહેલા સમાચાર એણે ઓખાના પૂછ્યા:
“પાંજો ઓખો કીં આય ?”
સંબંધીઓએ જાણ કરી “મુળુભા, ઓખાને માથે તો રેસીડન્ટ રાઈસ સાહેબે બલોચોને મોકળા મેલી દીધા છે.”
“શું કરે છે બલોચો ?”
“જેટલો બની શકે એટલો જુલમ: જાહેર રસ્તે રૈયતની વહુ દીકરીઓને ઝાલી લાજ લૂંટી રહ્યા છે. અને વસ્તી પોકાર કરવા આવે છે તો રાઈસ સાહેબ ઉલ્ટો ધમકાવે છે."
“કેટલુંક થયાં આમ ચાલે છે ?”
“ત્રણ વરસ થયાં.”
સાંભળીને મુળુનો કોઠો ખદખદી ઉઠ્યો. એણે આજ્ઞા દીધી કે “ભાઈ, ઝટ ફોજ ભેળી કરો. હવે તો નથી રહેવાતું.”
જોતજોતામાં તો વાઘેરો ને ખાટસવાદીઓનાં જૂથ આવીને બંધાઈ ગયાં.
કેસરીઆ વાઘા મુળુ માણેકના શરીર ઉપર ઝૂલવા લાગ્યા. એણે પોતાનાં માણસોને કહ્યું કે “બેલી, બારવટામાં શુકન કરવાં છે માધવપૂર ભાંગીને. જેલમાંથી જ માનતા કરી હતી કે માધવરાયજીની સલામું લેવા આવીશ. માટે પહેલું માધવપુર.”
“મુળુભા ! માધવપુર પોરબંદરનો મહાલ છે હો ! અને જેઠવા રાજાએ ચોકી પહેરા કડક રાખ્યા હશે.”