આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાવનગર રાજને જોગીદાસે દુશ્મના વટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ–જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બન્નેએ જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી.

તાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નથી. “The Bhavnagar Statistics" નામનું એકનું એક રાજમાન્ય તેમજ સરકારમાન્ય ઇતિહાસ-પુસ્તક વજા-જોગાની અન્યોન્ય નેકીનો શબ્દ સરખો યે નોંધતું નથી, અને કૅપ્ટન બેલનો ઇતિહાસ તો ઉક્ત પુસ્તકમાંથી જ ઉતારો કરે છે ! વાર્તાને છેડે બેલનું કથન મેં ટાંક્યું છે. વૉટસન ભગવાનલાલ સંપતરામ અથવા અન્ય કોઈના ઇતિહાસમાં આ પુરૂષનો ઉલ્લેખ નથી.

જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં ક્યાંયે સાંભળવામાં નથી. લુંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહેતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એના સોંપાઈ હતી એમ કહેવાય છે.