આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સોરઠી બહારવટીયા
 

જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટીયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી.

કેડાને કાંઠે ઉજળાં લુગડાં ને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઉભેલો ભાળી બહારવટીઆએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કે

“કેવો છો એલા ?”

“ક...કણબી છું બાપુ !” આદમીએ થોથરાતી જીભે ઉત્તર દીધો.

“કણબી કે ! ઠીક ત્યારે; ડગલું ય દેશ મા ! નીકર બરછીએ વીંધીશ.”

એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી.

“છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.”

એટલું કહીને બહારવટીઆએ પોતાનો પહોળો પંજો લબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું. એને ઉંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસારી અંધારે અલોપ થયો.

માર્ગે જેગીદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી શિહોરના કોઈ માલદાર મુખી પટેલીયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરમાં દેવા આવશે !

બાન પકડેલ આદમી પણ જરાયે આકળો બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં યે આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે.

શિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મઝલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું, આવતાંની વાર જ એ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે લલકારી ઉઠ્યો કે