“ભાઈ ! ઈ કેમ ન મારે ? એને શું ખીજ ન આવે ? એના
બાપ આજ પંદર વરસથી ગામ ગરાસ ખોઇને ડુંગરામાં પાટકે છે.
પાણાનાં ઓશીકાં કરેછે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંટઠાપલી
કરે તે ખમી ખાઈએ ભાઈ ! એને માથે દુ:ખનાં ઝાડ ઉગ્યાં છે.”
કાઠી ! આખો દાયરો થંભી ગયો. અને મહારાજે લાખાને ખોળામાં બેસારીને ઉલટું એના હાથની હથેળી પંપાળી, અને પૂછ્યું કે “બાપ ! તુંને તો વાગ્યું નથી ને ?”
કાઠી ! આવી રખાવટ રાખનારની સામે હવે કયાં સુધી ઝૂધ કરવાં છે ? અાવા દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ના લાજીએ. અને હવે હાલ્યા આવો ! મહારાજના ભેરૂ બનો.
સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટીયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખુણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારે કોર અંધારાં છવાઈ ગયાં.
"આમાં વંશ કયાંથી રે' ?"
બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગિર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઉતરી ગયા, નાંદીવલામાં ગાયો, ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું.
એક વરસ વીત્યે બહારવટીયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુએ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુવે