આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨૬)
માટે માણકચંદ શેઠની વહુને એમને ઘેર જવા દ્યો.
ઝવેરચંદ : મા, ઓ મા.
પ્રેમકોર : શું છે ?
ઝવેરચંદ : મારો બાપો કહે છે કે, હવે વાળુની વખત થઈ છે. માટે માણેકચંદ શેઠની વહુને એમને ઘેર જવા દ્યો.
પ્રેમકોર : હમણાં જાય છે.
ઝવેરચંદ : (શેઠને કહે છે) કહ્યું.
શેઠ : કહ્યું પણ એમ નહિ ઊઠે, બાઈડિયોની વાતો ખૂટે નહીં, ને ઝાઝીવાર બેસવા દેવામાં કાંઈ માલ નથી. મરદ પાંચ ભેળા થઈને બેસે તો કોઈનું ઘર મંડાવીને ઉઠે, ને રાંડો પાંચ ભેળી થઈને બેસે તો કોઈનું ઘર ભગાવીને ઉઠે.

(મતલબ કે કોઈ કુંવારો હોય, તેના વીવાહની વાત ચલાવે, ને સ્ત્રીઓ ઘરાણાં વીગેરેની વાતો ચલાવીને, કોઈ સ્ત્રી પાસે થોડું ઘરેણું હોય, તે પોતાના ધણી સાથે ઘેર જઈને ટંટો લઈ બેસે.)

ઝવેરચંદ : હા એ વાત સાચી છે.
શેઠ : જા જઈને કહે કે ચોવીઆરની વખત થઈ જાય છે.
ઝવેરચંદ : ઓ મા, મારા બાપાને ચોવીઆરની વખત વહી જાય છે. (શ્રાવક લોકો દિવસ આથમ્યા પછી ખાવું-પીવું વિગેરે ૨૪ પ્રકારના આહાર બંધ કરે છે તેનું નામ ચોવીસ આહાર)