આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬)

પ્રકરણ ૧ લું

મંછીવહુ : (માણકચંદ શેઠને કહે છે) સાંભળો છો ?

(ધણીધણિયાણીએ એકબીજાનું નામ લેવાનો ચાલ નથી, માટે સાંભળો છો? એમ કહીને બોલાવે છે.)

માણકચંદ : શું કહો છો ?
મંછી : હીરાચંદશેઠની હવેલીમાં હાલ ચિત્ર ઘણાં સારાં બનાવ્યાં છે, એમ લોકો કહે છે માટે અમારે જોવા જવાની મરજી છે, તે તમે કહો તો જઈએ.

(બાયડિયોને કોઈને ઘેર જવાની મરજી હોય, તો ધણીની રજા વિના જવાય નહિ.)

માણકચંદ : ઠીક છે, પણ આજ તો હીરાચંદ શેઠ પોતાને ઘેર હશે, ને કાલે શાહીબાગમાં જનાર છે, માટે તે ગયા પછી તમે શેઠાણી પાસે જવું હોય તો જજો, કેમકે શેઠ બેઠા હશે, ત્યારે તમારાથી શી રીતે ચિત્ર જોવાશે?

(જે સ્ત્રીની ધણીથી બીજો પુરુષ મોટી ઉમરનો હોય, ત્યારે તેની લાજ કાઢવી પડે છે, માટે તેવો પુરૂષ બેઠો હોય, ત્યાં એ સ્ત્રીએ ઊંચે સાદે બોલાય ચલાય નહિ.)

મંછી : (બીજે દહાડે કહે છે) તમે કાલે કહ્યું હતું, કે કાલે જજો તે હવે આજ જઈએ ?
માણકચંદ : કોણ કોણ જશો ?