આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૭)
(ઘણું કરીને સ્ત્રીએ કોઈને ઘેર એકલાં જવાય નહિ.)
મંછી : હરકોર બા, તારાચંદ, ને હું એ ત્રણે જઈશું.

(નણંદને બા કહેવાનો ચાલ છે)

માણકચંદ : ઠીક છે. પણ પહેલું કોઈને મોકલો, તે હીરાચંદની વહુને પુછી આવે કે, અમારે મળવા આવવું છે, તે કયે વખતે આવીએ ?
(પહેલી ખબર આપવાનું કારણ, કે ઘરમાં બેઠાં હોય ત્યારે ગમે એવા લૂગડાં પહેર્યાં હોય, તેથી કોઈ આવનાર હોય ત્યારે સારાં લૂગડાં ઘરાણાં પહેરવાનો ચાલ છે.)

પછી ચાકરને પૂછવા મોકલ્યો, તે પૂછી આવ્યો કે, દિવસના બાર ઉપર ત્રણ વાગતે આવવું. (એ વખત ફુરસદની હોય છે. પછી તૈયાર થતાં વાર થઈ, ને બાર ઉપર પાંચ વાગતા હીરાચંદ શેઠને ઘેર પહોંચ્યા.)

(મુકરર કરેલા વખતે બાઇડિયો કોઈ દિવસ તે કામ કરે નહિ, કારણ કે તેમનામાં ઘણી સુસ્તી હોય છે.)

ઘરબહાર ઊભાં રહીને ચાકરને કહેવા મોકલ્યો, તેણે જઈને હીરાચંદની વહુને કહ્યું.

ચાકર : માણેકચંદ શેઠના ઘરનાં મળવા સારૂ આવ્યાં છે.
પ્રેમકોર : ઓ નવલવહુ, ઊઠો ઊઠો, તમે તો હજુ સુધી ચોટલો ગુંથો છો, ને માણેકચંદના ઘરનાં તો આવ્યાં.