આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૦ )
<poem>

દીઠો નગેન્દ્ર-ઉર ભેદતી લક્ષ ધારે, ને લેાકમાં ઉતરતી પ્રબળા પ્રવાહે; નાના તરંગ થકી નાચતી ભવ્ય ભાવે, સ્વર્લોક-સેવ્ય સરિતા અચિરાય એણે.

દીઠી અને જગતના જનને બતાવી, સંતૃપ્તિ પૂર્વજ તણા ઉર માંહિ આપી; એ વીરના વિજયને જગતે વધાવ્યો, ને દિવ્ય આર્ય-ઈતિહાસ વિષે ગવાયો.

એ સત્યપ્રયાસ, ફળ, સાહસ એ સુભાગી, એ ધૈર્ય, ખંત, દૃઢતા, ઉર એ યશસ્વી; સંસારના હૃદય માંહિ ઠસાવવાને, ને એ સુપન્થ પર નિત્ય ચલાવવાને.

તીર્થત્વ, પાવનકરત્વ, શુચિત્વ રહેજે, એ કાર્યને વિબુધવર્ગ ન કેમ આપે ? ને વિશ્વમાં અમર એ કૃતિ રાખવાને, “ ભાગીરથી ” સદભિધાન ન કેમ આપે ?

એ પ્રાપ્યનો ઉચિત આશય એક અશે, જે આર્યના ઉર વિષે પળ એક પેસે; તે સર્વ પાપ થકી મુક્ત થઈ નિરાંતે, ગીર્વાણના ગૃહ વિષે જઈ કાં ન બેસે ?