આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને સર્વને દેખાવા લાગ્યા.

હિંદુઓનું જીવન અને આ પરમ આદર્શ વચ્ચે શો સંબંધ રહેલો છે તે હવે સ્વામીજી દર્શાવવા લાગ્યા. હિંદુઓ જે રીતે ખાય છે, વસ્ત્ર ધારણ કરે છે, લગ્ન કરે છે, પોતાનાં છોકરાંને ઉછેરે છે અને પ્રેતને જે દૃષ્ટિથી જુએ છે, તે સર્વ, તેમનામાંથી દેહાત્મ ભાવ દૂર કરી આત્મભાવ ઠસાવવાનાં અનેક સાધનો રૂપે જ છે. હિંદુઓના દેવતાઓ પરમતત્ત્વનાં જુદાં જુદાં મૂર્તિમંત લક્ષણો છે. જ્યાં સુધી મનુષ્ય અમુક બંધનમાં બંધાઈ રહે છે અને પરમતત્ત્વને ઓળખતો નથી ત્યાં સુધી જ આ દેવતાઓનું પૂજન કરે છે. સર્વ ધર્મ પરમતત્ત્વને પહોંચવાના જુદા જુદા માર્ગરૂપજ છે. આધ્યાત્મિક દર્શન અને માનસિક વિકાસની અવસ્થા અસંખ્ય છે. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, કાળી, શિવ, ઉમા, રાધા, કૃષ્ણ, સીતા, રામ, હિંદુઓની સઘળી દંતકથાઓ, રિવાજો અને સમાજનું બંધારણ – આ સર્વ પરમતત્ત્વની પ્રાપ્તિનાંજ અનેક સાધનો છે.

આ સાંભળીને કર્નાક સાહેબ જાણે તેમના બાઈબલનાંજ વચનો ઉચ્ચારાતાં હોય; જાણે કોઈ નવીનજ પ્રકાશ હૃદયમાં આવી પડતો હોય અને અંધકારને નષ્ટ કરતો હોય; જાણે કે આધ્યાત્મિક બુદ્ધિની ઉચ્ચાવસ્થામાંથી પરમ દૈવત્વને પ્રગટ કરાતું હોય તેમ અનુભવવા લાગ્યા. સર્વે શ્રોતાજનો ધારવા લાગ્યા કે, “આ એક ખરેખર સ્વદેશ ભક્ત સાધુ છે !”