આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એ પછી થોડા સમયમાં હૈદ્રાબાદથી કેટલાક સંદ્‌ગૃહસ્થો મદ્રાસમાં આવ્યા અને પોતાના શહેરમાં આવવાને સ્વામીજીને પ્રાર્થના કરવા લાગ્યા, સ્વામીજીની કીર્તિ ચારે પાસ ફેલાઈ રહી હતી; તેથી હૈદ્રાબાદના લોકો પણ તેમનાં દર્શન માટે આતુર હતા. લોકો, સરદારો, નવાબ વગેરે હજારો માણસો સ્ટેશન પર સ્વામીજીનો સત્કાર કરવા આવ્યા હતા. સ્વામીજીએ લોકોની માગણી ઉપરથી “પશ્ચિમમાં હિંદુ ધર્મનો પ્રચાર કરવાનો મારો હેતુ ” એ વિષય ઉપર એક સુંદર ભાષણ અહીં આપ્યું હતું. આ ભાષણની બહુજ ઉંડી અસર શ્રોતાવર્ગ ઉપર થઈ હતી અને ઘણા લોકોએ એ કામમાં સ્વામીજીને મદદ આપવાની તત્પરતા દર્શાવી હતી; પરંતુ સ્વામીજીએ હજી તે મદદ સ્વીકારવાનો સમય આવ્યો નથી એવો ઉત્તર આપ્યો હતો.

બે ત્રણ દિવસ પછી સ્વામીજી હૈદ્રાબાદ છોડી ગયા. બાબુ કાલીચરણ લખે છે કે “તેમની પવિત્રતા, સાદાઈ, અસ્ખલિત મનોનિગ્રહ અને અતિ ઉચ્ચ પ્રકારની ધ્યાનાવસ્થા વડે કરીને હૈદ્રાબાદના શહેરીઓનાં મન ઉપર ભારે અસર થઈ રહેલી છે.”

હૈદ્રાબાદમાં સ્વામીજીને એક યોગીનો મેળાપ થયો હતો. તે યોગી બ્રાહ્મણ હતો અને પોતાની માનસિક શક્તિઓને કેળવીને તેણે અસામાન્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. પોતે ધારે તે વખતે પોતાની કામળીમાંથી ફુલ ફળાદિના ઢગલે ઢગલા તે કહાડી શકતો હતો. સ્વામીજી તેની પાસે ગયા ત્યારે તે યોગીને તાવ આવેલ હતો. સ્વામીજીને જોતાંજ આ યોગીને તેમના પર અતિશય પૂજ્યભાવ આવી ગયો. સ્વામીજીને તેણે પોતાની પાસે બેસાડ્યા અને તેમનો હાથ પોતાને માથે મૂકવાની બહુ આગ્રહથી વિનતી કરી. સ્વામીજીએ તે પ્રમાણે કરતાં જ તે યોગી એકદમ બેઠો થયો અને તેનો તાવ જતો રહેલો જણાયો.