શિકાગોનું ખર્ચ ભારે પડવાથી સ્વામીજીએ બોસ્ટનમાં જઈને
રહેવાનો વિચાર કર્યો. બોસ્ટનમાં પણ બેએક મહિના સુધી રહેવાય
તેટલું દ્રવ્ય તેમની પાસે નહોતું. છતાં પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને તે
બોસ્ટન જવાને નીકળ્યા. પોતાની જાતની સર્વ ચિંતા ત્યજી દઈને શ્રદ્ધાપૂર્વક સર્વ ભાવે પ્રભુપરાયણ મનુષ્યનું યોગ-ક્ષેમ પરમાત્મા કેવી
રીતે કરે છે તેનો અનુભવ સ્વામીજીને અહીંઆ પણ થયો. સ્વામીજી
આગગાડીના જે ખાનામાં બેસીને જતા હતા તેજ ખાનામાં એક
વૃદ્ધ સ્ત્રી બેઠેલી હતી. તે પણ બોસ્ટન જતી હતી. સ્વામીજી ઘડીમાં
બહારના દેખાવ નિહાળતા તો ઘડીમાં ઈશ્વરના મહિમામાં ડુબતા એક
બાજુ પર મૌનભાવે બેઠેલા હતા. તે સ્ત્રી તેમની શાંત વૃત્તિ તથા
તેજસ્વી મુખમુદ્રા તરફ જોઈ રહી હતી અને તેમને શાંત અને
નચિંત ભાવે બેઠેલા જોઇને આશ્ચર્ય પામતી હતી. “તે કોણ હશે !”
તે સ્ત્રીને જાણવાની ઈચ્છા થઈ. “અહો ! તે એક હિંદવાસી છે !”
એમ તેના જાણવામાં આવ્યું અને સ્વામીજી થોડાક દિવસ પોતાને
ઘેર આવીને રહે તો ઠીક એમ તેણે મનમાં વિચાર્યું. આખરે તે સ્વામીજીની
પાસે ગઈ અને તેમની જોડે વાત કરવા લાગી. સ્વામીજી
એક સાધુ છે અને વેદાન્તનો બોધ કરવાને તે અમેરિકા આવેલા છે
એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે તેના હર્ષનો પાર રહ્યો નહિ. તે કહેવા
લાગીઃ “સ્વામી, તમને હું મારે ઘેર આવીને રહેવાનું આમંત્રણ આપું
છું. તે આપને અનુકુળ થઈ પડશે ” સ્વામીજી આશ્ચર્ય પામ્યા કે
આ શું? પોતાને જે મુશ્કેલીઓ નડતી હતી તે યાદ કરીને સ્વામીજી
પોતાના મનમાં ધારવા લાગ્યા કે ખરેખર ! પ્રભુએજ તેમને મદદ કરવાને
આ બાઈને મોક્લી છે. બાઈના નિમંત્રણની તરતજ તેમણે
હા પાડી અને તેની સાથે તેને ઘેર જઈ સુખેથી ત્યાં રહેવા લાગ્યા.
દિવસે દિવસે સર્વધર્મ પરિષદનો સમય નજીક આવતો ચાલ્યો.