અને બ્રહ્મચર્યનું વૃત્ત લઈ તેમનાં શિષ્ય બની રહ્યાં. સ્વામીજી
પાસેથી દિક્ષા લઈને તેઓએ હિંદુ નામ ધારણ કર્યા. તેઓમાં મુખ્ય
અભયાનંદ, કૃપાનંદ અને યોગાનંદ હતા. સંન્યાસી થયા પહેલાં
કૃપાનંદ ન્યુયાર્કમાં એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના લેખક હતા. સ્વામી
અભયાનંદ એક ફ્રેંચ સ્ત્રી હતી. ન્યુયોર્કની સમાજમાં જડવાદ અને
સમાજશાસ્ત્રના હિમાયતી તરીકે તે બહુજ પ્રખ્યાત હતી. સ્વામી
યોગાનંદ તો ન્યુયોર્કના પ્રસિધ્ધ ડોક્ટર સ્ટ્રીટ હતા. આ સંન્યાસી
શિષ્યો શિવાય બીજા પણ અનેક મનુષ્યો બ્રહ્મચર્યવૃત્ત ગ્રહણ
કરી રહ્યાં હતાં અને સંન્યાસ દિક્ષા લેવાની આકાંક્ષા ધરાવતાં
હતાં. અનેક પ્રસિધ્ધ ગૃહસ્થ પણ સ્વામીજીના શિષ્યો બની રહ્યા
હતા. મીસીસ ઓલ બુલ નામની એક પ્રખ્યાત અને ધનાઢ્ય સ્ત્રી
સ્વામીજીની ચુસ્ત શિષ્ય બની રહી હતી. સ્વામીજીના અસંખ્ય
વિદ્યાર્થીઓમાં પ્રોફેસર વાઇમેન, ડૉક્ટર એલન ડે, વગેરે પણ હતા.
ઘણા પાદરીઓ તેમનાં ભાષણો સાંભળવાને દરરોજ આવતા હતા.
ન્યુયોર્કમાં આવેલી ડીક્સન સમાજમાં ભાષણ આપવાને સ્વામીજીને
વારંવાર બોલાવવામાં આવ્યા હતા. ડોકટર રાઇટ નામના પ્રસિદ્ધ
પ્રોફેસર તે કાર્ય માટે તેમની ભલામણ કરી રહ્યા હતા. જે ભૂમિમાં
સર્વે મનુષ્યો ઐહિક સુખ અને જગતની મિથ્યા વાસનાઓનેજ વળગી
રહેલા હતા અને જ્યાં વૈરાગ્યના નામથી પણ સૌ આઘાં રહેતા હતા,
તે ભૂમિના મનુષ્યો આ પ્રમાણે સંન્યાસ ગ્રહણ કરે અને વેદાન્તમય
જીવન ગાળી રહે, એ બીના સ્વામીજીની અગાધ શક્તિ અને તેમનાં
ભાષણોની અદ્ભુત અસરની પુરેપુરી સાબીતિ આપે છે. સ્વામીજીની
આવી ફતેહથી કયા હિંદવાસીનું હૃદય ઉછળશે નહિ ?
વળી સ્વામીજીના પ્રયાસથી માત્ર આટલું જ પરિણામ આવ્યું તેમ નહોતું. અનેક વ્હેમો અને ખોટા ખ્યાલોને દૂર કરી સાચા