સત્યની શોધમાં વિચરવાની પ્રબળ ઈચ્છા સ્વામીજીએ અમેરિકાનાં
હૃદયમાં પ્રગટાવી મુકી છે. આજે અમેરિકનો વેદાન્તનાં પુસ્તકોની
માગણી કરી રહેલા છે; વાતચીતમાં પણ તેઓ ઘણા સંસ્કૃત શબ્દો
વાપરવા લાગ્યા છે; શ્રીશંકરાચાર્ય, શ્રી રામાનુજ વગેરેનાં નામ હકસલી,
સ્પેન્સર વગેરેનાં નામો સાથે અમેરિકામાં સાંભળવામાં આવે છે; અને
મેક્સમુલર, કોલબુક, ડ્યુસન જેવા વેદાંતીઓનાં પુસ્તકો અમેરિકનો
પ્રેમથી વાંચવા લાગ્યા છે. આ સઘળું સ્વામીજીએ ઉપજાવેલી અસરનું
જ પરિણામ છે. ન્યુયોર્કમાં સારા બર્નાર્ડ નામની પ્રખ્યાત નાટકકાર
સ્વામીજીને મળવાને આવી અને હિંદુ તત્ત્વજ્ઞાનને માટે પોતાનો
અત્યંત ભાવ દર્શાવી તેમાં રસ લેતી થઈ. વીજળી સંબંધી અનેક શોધ
કરનાર વિજ્ઞાનશાસ્ત્રી નીકોલા ટેસલા, સ્વામીજીનું સાંખ્ય તત્વજ્ઞાન
ઉપરનું ભાષણ સાંભળીને અત્યંત વખાણ કરવા લાગ્યા. તેમણે કબુલ
કર્યું કે હિંદુઓનુંજ જગતની ઉત્પત્તિ અને રચના સંબંધીનું જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. વળી તેમણે જણાવ્યું કે કલ્પ, પ્રાણ, આકાશ
વગેરેનો પુરેપુરો અને ખરો ખ્યાલ સાંખ્ય શાસ્ત્રજ આપી શકે તેમ છે.
જગતની રચના સંબંધીના પ્રશ્નોનું નિરાકરણ કરવાને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રે હિંદુઓના સાંખ્યશાસ્ત્રનાજ આશ્રય લેવો જોઈએ, એમ નીકોલા ટેસલા સર્વેને કહેતા હતા.
ન્યુયોર્કથી સ્વામીજી થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક નામના સ્થળે ગયા. એ સ્થળ એક ટેકરી ઉપર એકાંતમાં આવેલું હતું. અમેરિકન વિદ્યાર્થીઓ અને શિષ્યોમાંના બારેક જણ સ્વામીજીની સાથે હતા. સ્વામીજીનાં ભાષણ સાંભળવાં એ તો એક મહદ્ભાગ્ય હતુંજ, પણ તેમના સમાગમમાં આખો વખત આવવું અને તેમના જીવનના ભાગી થવું એ તો બહુજ શ્રેયસ્કર હતું. તે સ્થળમાં સ્વામીજી સાત અઠવાડીયાં રહ્યા હતા. એ દરમીઆન તે પોતાના શિષ્યોને દરરોજ બોધ આપતા