આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને શ્રીમાન મનુષ્યો મારી નજરે પડ્યા હતા. તેઓ સરસ પોશાકમાં સજ્જ થયેલા હતા. તેમાં ઘણા દાક્તરો, વકીલો, વેપારીઓ અને સભ્ય સ્ત્રીઓનો પણ સમાવેશ હતો.”

સ્વામીજીના કાર્યની ફતેહનું વર્ણન આપતાં હેલન હન્ટીંગટન લખે છે કે;–

“પ્રભુએ હિંદુસ્તાનમાંથી એક બ્રહ્મનિષ્ઠ ગુરૂને અમારા તરફ મોકલેલો છે. તેમનું ઉચ્ચ તત્ત્વજ્ઞાન ધીમે ધીમે અમારા દેશમાં પ્રસરે છે અને અમારા નૈતિક વાતાવરણમાં મોટો ફેરફાર કરતું ચાલે છે. તે અસાધારણ શક્તિ ધરાવે છે. તે અત્યંત પવિત્ર છે. ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો તે ખરેખરો પુરાવો આપી રહેલા છે. સર્વ સંગ્રાહ્યધર્મ, અસ્ખલિત સખાવત, સ્વાર્થ ત્યાગ અને શુદ્ધમાં શુદ્ધ વિચારોનું તે જીવંત દૃષ્ટાંત છે. સ્વામી વિવેકાનંદ કોઈ અમુક પંથ કે સિદ્ધાંતના હિમાયતી નથી. તેમનો ધર્મ નિષ્કલંક છે. તે અમને ઉચ્ચ સ્થિતિએ લઈ જાય છે, તે અમને પવિત્ર બનાવે છે અને તે અમને સર્વ રીતે અનુકુળ છે. તેમનો સર્વોપયોગી નિષ્કલંક ધર્મ પ્રભુ અને મનુષ્ય પ્રત્યે પ્રેમ અને અત્યંત પવિત્રતા ઉપર રચાયલો છે.”

“સ્વામી વિવેકાનંદને તેમના અનુયાયીઓ શિવાય પણ બીજા પુષ્કળ મિત્રો છે. સઘળા માનવ વર્ગો સાથે તે એક સરખી રીતે મિત્રાચારી અને ભ્રાતૃભાવની લાગણી ધરાવે છે. તેમના વર્ગો અને ભાષણોમાં અમેરિકાના ઘણા બુદ્ધિમાન મનુષ્યો અને મોટા વિચારકો જાય છે. તેમના બોધની અસરથી અમેરિકનોના હૃદયમાં આધ્યાત્મિક વૃત્તિ જાગૃત થએલી છે અને તેનો પ્રબળ પ્રવાહ ઘણો ઉંડો વહી રહેલો છે. પોતાની પ્રશંસાથી તે કદી ફુલાયા નથી અને નિંદાથી ગુસ્સે થયા નથી. દ્રવ્ય કે સત્તાના પ્રભાવથી તે કદી અંજાયા નથી. તે એવા મનુષ્ય છે કે શહેનશાહો પણ તેમને ખુશીથી માન આપે.”