સને ૧૮૯૬ ના ડીસેમ્બરની ૧૬ મી તારીખે સ્વામી વિવેકાનંદ
હિંદુસ્તાન જવાને ઉપડી ગયા. તેમની સાથે તેમના કેટલાક અંગ્રેજ
શિષ્યો પણ ગયા. તેમના વિદ્યાર્થીઓ તેમને જવા દેવાને માટે ખુશી
નહોતા અને કેટલાક મહિના વધારે રહેવાની અરજ કરી રહ્યા હતા.
પણ હિંદ છોડ્યાને ઘણો વખત થયો હતો; વળી પશ્ચિમનો મોજશોખ,
ઠાઠ, વગેરે સ્વામીજીને પસંદ પડતાં નહોતાં. કેવળ મોજશોખ અને
દ્રવ્યોપાર્જનમાં ગળાતું પાશ્ચાત્ય જીવન તેમને નિરસ અને શુષ્ક લાગતું
હતું. જ્યાં બળ અને સત્તાજ સર્વોપરી ગણાતાં હતાં, જ્યાં ગરિબોને
એકવાર પણ ખાવાનું ન મળે અને ધનાઢ્યો મોજશોખમાં પુષ્કળ
દ્રવ્ય ઉરાડ્યા કરે, એવી ભૂમિમાં રહેવાથી તેમને કંટાળો આવતો
હતો. ધનાઢ્ય, ભપકાદાર અને સત્તાવાન પશ્ચિમ કરતાં પ્રાચીન વિદ્યાની
મહત્તા અને ભવ્યતાથી અલંકૃત થઈ રહેલું ભારતવર્ષ સ્વામીજીને
વધારે પ્રિય હતું. સ્વામીજી હિંદ જવાને ઉપડી ગયા તેજ દિવસે
તેમના એક મિત્રે તેમને સવાલ પૂછ્યો હતો કે; “મોજશોખ, કીર્તિ
અને સત્તાથી ભરપુર એવા આ પાશ્ચાત્ય પ્રદેશમાં ચાર વર્ષ રહ્યા
પછી હવે તમને હિંદુસ્તાનમાં રહેવું કેમ ગમશે ?” સ્વદેશભક્ત
સ્વામીજીએ ઉત્તર આપ્યો હતો કે “અહીંઆં હું આવ્યો તે પહેલાં
પણ મારા ભારતવર્ષને હું અત્યંત ચહાતો હતો; પણ હવે તેનાથી
દૂર રહેવાથી તો તે ભારતવર્ષની ધૂળ પણ મને ઘણીજ પવિત્ર લાગે
છે. તેનું સઘળું વાતાવરણ મારે મન પવિત્ર છે. મારે મન હવે તે
એક યાત્રાનું સ્થળ થઈ રહેલું છે. ભારતવર્ષ પુણ્યભૂમિ છે.
એ વાત સ્વામીજીએ પશ્ચિમનો અનુભવ લીધા પછી તેમના મનપર
વધુ દૃઢપણે ઠસી રહી હતી.
સ્વામીજીના જવાથી સર્વેનાં હૃદય ખિન્ન થઈ રહ્યાં હતાં. પોતાની લાગણી એક અમેરિકન મિત્રને દર્શાવતાં મી. સ્ટર્ડીએ નીચે પ્રમાણે