બ્રહ્મચર્ય અને સંન્યાસ, એ સર્વની પરાકાષ્ટારૂપ તે હતા. પ્રવૃત્તિ અને પ્રવૃત્તિનો અદ્ભુત સુયોગ તેમના ચારિત્ર્યમાં રહેલો હતો. પોતાને કોઈ પણ જાતની કામના નહિ હોવા છતાં પોતે કાર્યપરાયણ રહી સર્વને કાર્યપરાયણતા શિખવી રહ્યા હતા. આવા અતિ વિરલ અને વિલક્ષણ ગુણોનો સુયોગ શ્રીકૃષ્ણમાં થયેલો હતો અને તેમાં જ તેમની મહત્તા અને પ્રભુતા રહેલી છે.
શ્રીકૃષ્ણનું જીવન સમજાવતાં સ્વામીજી કહેતા કે તેમનું જીવન ઘણુંજ સાદું, અત્યંત પવિત્ર અને શ્રીમદ્ ભગવદ્ગીતાના દૃષ્ટાંતરૂપ હતું. તેમની આજ્ઞાથી રાજાઓ પોતાનાં રાજ્યપાટ છોડી દેતા, પણ તે પોતે કદીએ રાજા થવાની ઈચ્છા કરતા નહિ. યોગેશ્વર શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર શ્રીમદ્ ભગવદ્ગીતાના અભ્યાસ વગર સમજાવું મુશ્કેલ છે. ગોપીઓ સાથે શ્રીકૃષ્ણે જે વિહાર કર્યો હતો તેનું રહસ્ય વિવેકાનંદે નીચેના શબ્દોમાં સમજાવ્યું હતું:– “ગોપીઓ સાથેનો વિહાર શ્રીકૃષ્ણના જીવનનો એક અદ્ભુત ભાગ છે. તેને સમજવો બહુ મુશ્કેલ છે. અત્યંત શુદ્ધ અને પવિત્ર થયા વગર મનુષ્યે તેને સમજવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. પ્રભુભક્તિમાં મસ્ત થઈ ગયેલા મનુષ્યોજ તેને સમજી શકે તેમ છે.”
ભગવાન બુદ્ધ ! સંન્યાસની મૂર્તિ ! સર્વાત્મભાવનું જીવંત દૃષ્ટાંત ! નીતિની પરાકાષ્ઠા ! એ જગવિખ્યાત પરમ પવિત્ર મહાત્માના જીવનનો ચિતાર આપતાં સ્વામીજી સર્વેના મનમાં ઠસાવી રહ્યા કે હિંદુસ્તાન જેને બુદ્ધ તરીકે પૂજે છે તે બીજું કોઈ નથી, પણ શ્રીકૃષ્ણનુંજ બીજું રૂપ છે.
ગીતાનો ઉપદેશ કરનાર પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ પોતેજ જાણે કે બુદ્ધ તરિકે જન્મ ધારણ કરીને તે સમયની આવશ્યકતા પ્રમાણે જગતને દોરી રહ્યા હતા. કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણે બુદ્ધિની પરાકાષ્ઠા દર્શાવી હતી