આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બહેન નિવેદિતા પણ તે કાર્યમાં જોડાયાં હતાં. આ પ્રાણ સટોસટના સેવા ધર્મમાં જોડાયલા સંન્યાસીઓની પુંજીમાં માત્ર એક કમણ્ડલુંજ હતું. તેઓ કોઈ પણ જાતના બદલાની આશા રાખતા ન હોતા. તેમને મન સમાજસેવા તે પ્રભુસેવાજ હતી. તેઓ માવજત કરનારી, તપાસ કરનારી અને ગલીઓ અને ઘરો સાફ કરાવનારી ટોળીઓમાં ગોઠવાઈ ગયા. ફંડને માટે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવામાં આવી અને ટોળીઓ પોતપોતાનું કાર્ય કરવા મંડી ગઈ. જે મહોલ્લાઓમાં વધારે ગંદકી હતી તેને તેઓ ઉત્સાહથી સાફ કરાવવા લાગ્યા. સાધુઓને ભંગીઓ જોડે પણ કામ કરવું પડતું હતું, પણ તે પવિત્ર પુરૂષો તેનાથી પણ પાછા હઠતા ન હોતા. સારવાર કરવાના માંડવાઓમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના વિદ્વાન અને પવિત્ર શિષ્યો સ્વામી શારદાનંદ અને બ્રહ્માનંદ દરદીઓની માવજત કરવા લાગ્યા. વળી તેમણે ભજન મંડળીઓ ઉભી કરીને તેમનાદ્વારા લોકોને વ્યાધીની બ્હીક ત્યજી દઈને આત્મશ્રદ્ધા તથા પ્રભુશ્રદ્ધા રાખવાનું સમજાવવા માંડ્યું. સ્વામી વિવેકાનંદ પણ મઠમાં રહેવાનું ત્યજી દઇને ગરિબ લોકોના મહોલ્લામાં એક ઝુંપડામાં રહેતા હતા. ચારે બાજી ફેલાઈ રહેલી વ્યાધી અને મૃત્યુની વચમાં રહીને સ્વામીજી સર્વેને દિલાસો આપતા, ગરિબોની સારવાર કરતા અને પોતાના જીવન અને દૃષ્ટાંતથી ચારે પાસ પ્રવર્તી રહેલા પ્લેગના ભયને નાબુદ કરવાને સર્વેનાં હૃદયમાં ઉત્સાહ પ્રેરતા. જે મનુષ્યોએ સ્વામી વિવેકાનંદને આ પ્રસંગે કામ કરતા જોયા છે તેઓ આજે પણ તેમના કાર્યને ઘણાજ માન અને આભારની લાગણી સાથે યાદ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસના સંન્યાસી શિષ્યો ગંદામાં ગંદી ગલીઓમાં પણ પેસીને કેવા ઉત્સાહથી કામ કરતા અને પ્લેગથી પીડાતા મનુષ્યોને કેવો દિલાસો અને મદદ આપતા તે કલકત્તાના દરેકે દરેક વૃદ્ધ પુરૂષ હજી સુધી કૃતજ્ઞપણે યાદ કરે છે.