આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૭
નવા મઠની સ્થાપના.


અનારોગ્યને લીધે ઔષધોપચાર માટે સ્વામીજીનું હવે ઘણે ભાગે કલકત્તામાંજ રહેવું થતું હતું. તબીયત નાદુરસ્ત છતાં પણ અનેક જાતની પ્રવૃત્તિઓમાંજ તેમનો આખો દિવસ જતો હતો. એ પ્રવૃત્તિઓ વિષે એક શિષ્ય નીચે પ્રમાણે લખે છે:–

“જ્યાં સુધી સ્વામીજી કલકત્તામાં રહ્યા ત્યાં સુધી સભાઓ દરરોજ ભરવામાં આવતી. સવારથી તે રાતના આઠ નવ વાગતા સુધી આખો દિવસ મનુષ્યોનાં ટોળે ટોળાં તેમને મળવાને આવતાં અને તેથી તેમનું ભોજન ઘણુંજ અનિયમિત થઈ જતું. તેમના ગુરૂભાઈઓ અને મિત્રોએ સ્વામીજીને સલાહ આપી કે અમુક સમય શિવાય તેમણે કોઈને મળવું જોઈએ નહિ. સ્વામીજીએ જવાબ આપ્યો કે “તેઓ પોતાને ઘેરથી ચાલીને મને મળવા સારૂજ આટલે દૂર સુધી આવવાનો શ્રમ ઉઠાવે અને હું શું મારી તબીયતની બ્હીકનો માર્યો અહીંઆં બેઠે બેઠે પણ તેમની સાથે વાત ન કરૂં ?”

સ્વામીજીનું પાશ્ચાત્ય શિષ્યોને કેળવવાનું કામ પણ હજુ જારીજ હતું. કલકત્તેથી સ્વામીજી પાશ્ચાત્ય શિષ્યોના મુકામપર વારંવાર જતા અને તેમને અનેક પ્રકારનો બોધ આપતા. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી અનેક વાતો તેમને સમજાવતા. જનમેજયે કરેલો યજ્ઞ, સાવિત્રી, નળ–દમયંતિ, રામ અને સીતા, ધ્રુવ, પ્રલ્હાદ, ભરત, વિક્રમાદિત્ય વગેરેનાં વૃત્તાંતો તે એમને સંભળાવતા અને શ્રીકૃષ્ણ તથા બુદ્ધનાં અનુપમ ચારિત્રો એમના મગજમાં ઠસાવતા. સ્વામીજી બહેન નિવેદિતાના ખાસ ઉચ્ચ અધિકારને લીધે તેમને પોતાની પુત્રીજ ગણતા અને તેમની આધ્યાત્મિક ઉન્નતિ સાધવાને અનેક પ્રયાસ કરતા. ભારતવર્ષની સ્ત્રીઓની કેળવણી તેમના હાથમાં સોંપવી એવા વિચારથી એક કન્યાશાળા તેમની દેખરેખ નીચે ચાલુ કરવામાં આવી હતી.

સ્વામીજીની સલાહથી નિવેદિતા શ્રીરામકૃષ્ણનાં પત્ની શારદાદેવીની