આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


રહ્યા છે. મેં તમને આજે જે કહ્યું તેને મનમાં દૃઢ ઠસાવીને તે પ્રમાણે વર્તન કરજો. પ્રભુ તમારો નેતા અને સહાયક બને.

સ્વામીજી આવી રીતે શિષ્યોને બોધ આપીને પોતાના મિત્રો, ગુરૂભાઈઓ અને સ્નેહીઓના આત્માને જાગૃત કરી રહ્યા હતા. તેમની આસપાસ બેસનારા ઉઠનારાઓનાં હૃદયમાં આવા અનેક ઉપદેશોથી સુવિચારોનો વાસ તેઓ કરાવી રહ્યા હતા. આમ કરીને કેટલાકનાં હૃદયમાં તેમણે ભક્તિરસ રેડ્યો છે તો કેટલાકને તેમણે જ્ઞાનમાર્ગે ચ્હડાવ્યા છે અને કેટલાકના મનમાં સાચી સ્વદેશપ્રીતિ ઉત્પન્ન કરી છે. સર્વે પ્રાણી પદાર્થમાં બ્રહ્મનું–પોતાના આત્માનુંજ દર્શન કરવાનું તેમણે શીખવ્યું છે. અહાહા ! કેટલાં બધાં મનુષ્યોના આત્માને તેમણે જાગૃત કરી મુક્યા છે. કેટલાંના હૃદયમાં તેમણે બ્રહ્મને જગાવેલો છે. એક પ્રકારની અતિ પ્રબળ આધ્યાત્મિક જ્વાલા-દૈવી જ્યોતિ–તેમના અંતરમાં ઝળહળી રહી હતી. પોતાના પરિચયમાં આવનાર આત્માઓમાં પણ તેવીજ જ્યોતિ પ્રગટાવવાના પ્રયાસ તેઓ કરી રહ્યા હતા. ડાક્ટરોની ના છતાં પણ પ્રસંગ આવતાં સ્વામીજી આવા પ્રકારના યત્ન સંપૂર્ણ છૂટથી કરતા અને તેથી તેમના વ્યાધિગ્રસ્ત શરીરને વધુ નુકશાન પહોંચતું. છતાં તેની તે દરકાર કરતા નહિ, તેમના ગુરૂભાઈઓને તેથી ચિંતા થતી પણ સ્વામીજીના ઉત્કટ વૈરાગ્ય આગળ તેમનું કશું ચાલતું નહિ, તેઓ તેમના શરીરને માટે પ્રભુ પ્રાર્થના કરતા. જાણે કે જીવનનું કાર્ય જલદી આટોપી લેવું હોય તેમ વધારે ને વધારે જુસ્સાથી સ્વામીજી એ કાર્ય કરવા મંડી જતા. ખરેખર તેમના જીવનનું કાર્ય હવે ધીમે ધીમે આટાપાતુંજ ચાલતું હતું.