આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


૧૯૦૧ ના ઓક્ટોબરમાં સ્વામીજીની તબીયત પાછી વધારે બગડી. કલકત્તાના પ્રખ્યાત ડૉ૦ સૉન્ડર્સને બોલાવવામાં આવ્યા અને તેમણે ભલામણ કરી કે સ્વામીજીએ કંઇ પણ કાર્ય કરવું નહિ. તબીયત છેક નાદુરસ્ત હોય ત્યાં સુધી સ્વામીજીને ના છુટકે પથારીમાં પડી રહેવું પડતું. તબીયત જરા ઠીક થવા આવતી કે તરતજ તેઓ કંઇને કંઈ કામ કરવા મંડી જતા. કોઈવાર તે જમીન ખોદતા તો કોઈવાર ફળ -પુષ્પાદિનાં ઝાડ રોપતા અને કોઇવાર બીજ વાવતા. કોઈવાર તે પલાંઠી વાળીને ધ્યાનમાં બેસતા તો કોઇવાર વેદોના મંત્ર બોલતા અને કોઇવાર કોઈ પુસ્તકનું વાંચન મનન કરતા જણાતા. તબીયત પુરેપુરી સુધરી રહેતાં સુધી પથારીમાં પડી રહેવું કે ઘરમાં બેસી રહેવું એ તેમને જરા પણ ગમતું નહિ. તેઓ વખતોવખત એકાંતમાં જઈ બેસતા અને ત્યાં ધ્યાનગ્રસ્ત થઈ જતા. જ્યારે તે કોઈ અમુક વ્રતના નિમિત્તથી અપવાસાદિનું પાલન કરતા ત્યારે તેમની ખુશીનો પાર રહેતો નહિ. તપ, સાધના અને અપવાસાદિના અનેક લાભો વિષે બહુજ આગ્રહ કરીને પોતાના શિષ્યને સમજણ આપતા અને તેટલાજ આગ્રહથી તે તેમની પાસે વ્રત અપવાસાદિનું પાલન પણ કરાવતા. એનાથી શરીરની શુદ્ધિ તો દેખીતી થાય છે અને શરીરની શુદ્ધિથી ચિત્તની શુદ્ધિમાં ઘણી જ અગત્યની સહાય મળે છે. આ શરીરની ચિત્તશુદ્ધિને લીધેજ મનુષ્ય અને પ્રજાઓ સંયમ, બળ, અને સત્યજ્ઞાનને પ્રાપ્ત કરી મોટાં મોટાં કામ કરવાને સમર્થ થઈ રહે છે. જે પ્રજા સંયમ વગરની છે તે કોઈ પણ દિવસ ઉદયને શિખરે ચ્હડી શકતી નથી. સ્વામીજીએ એ ફાયદાઓને જાતે અનુભવ્યા હતા અને તેથી કરીને તે તેમના શિષ્યો પાસે વ્રત, ઉપવાસાદિનું યથાર્થ પાલન કરાવતા હતા. શિવરાત્રિ જેવા દિવસોએ આખા દિવસ અપવાસ કરાવી દિવસ અને રાત્રિ ભજન કીર્તનમાંજ ગળાવતા.