આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૧
ઉપસંહાર.


નામજ આદર્શ પાછળ જીવન ગાળવું છે.

એમાં પણ પ્રભુપ્રેમમયી ભક્તિ અને માનવસેવારૂપ નિષ્કામ કર્મ એજ આત્મ સાક્ષાત્કારનું ઉત્તમોત્તમ સાધન છે. આ પ્રભુપ્રેમ હમેશાં નિઃસ્વાર્થ હોવા સાથે તે કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિ ઉપર બંધાયેલો હોવો જોઈએ. સ્વામીજીએ બહુજ ભાર દઈને સમજાવ્યું છે કે આર્થિક ઉન્નતિ એ કાંઈ પ્રજાની સુધારણા યા ઉન્નતિની ખરી કસોટી નથી. ખરો સુધરેલો યાને ઉન્નત થયેલો મનુષ્ય તો તેજ છે કે જેનો આત્મા અખિલ વિશ્વ સાથે એક થઈ રહેલો છે. પવિત્રતા, પરોપકાર, વૈરાગ્ય અને આત્મત્યાગના પાલન વડે જે અખિલ વિશ્વમાં પ્રભુનેજ જોઈ રહેલો છે તે જ ખરો સુધરેલો–સાચે શ્રેષ્ઠ પુરૂષ છે.

ધર્મ અને તત્વજ્ઞાનનો બોધ કરવાની સાથે આપણા જુવાનોને તેમની ખામીઓ અને ફરજો દર્શાવવાને પણ સ્વામીજી ચુક્યા નથી. આપણા જુવાનીયાઓને તેમણે કહ્યું છે કે —“ધર્મનો અભ્યાસ કરવા પહેલાં તમારાં શરીર મજબુત બનાવો. ગીતાનો અભ્યાસ કરવા અગાઉ તમે બ્રહ્મચર્યથી, કસરતથી અને રમતો વગેરેથી તમારા શરીરને મજબુત બનાવ્યાં હશે તોજ તમે ઇશ્વર સમીપ જલદી જઈ શકશો.”

“તમારી ભુજાઓ જરા વધારે મજબુત હશે તોજ તમે તેને સારી રીતે સમજી શકશો.”

“ગીતા કાંઇ નિર્બળ મનુષ્યને શીખવવામાં આવી નહોતી, પણ તે મહાન વીર પુરૂષ-બહાદુર ક્ષત્રીઓના નેતા અર્જુનને શિખવવામાં આવી હતી.”

“તમારૂં શરીર સુદૃઢ થશે ત્યારેજ તમે ગીતામાં દર્શાવાયેલી શ્રીકૃષ્ણની અગાધ બુદ્ધિ અને શક્તિને સમજવાને લાયક થશો.”