છોકરો—વારૂ, તમે એટલું બતાવી શકશો, કે આકાશમાં કિયે ઠેકાણેથી તે કિયા ઠેકાણા સુધી અશ્વિનીની હદ કહેવાય ?
જોશી—એવું તો અમે કાંઈ જાણતા નથી.
છોકરો—ત્યારે જ્યોતિષના ગ્રંથો થયાને ઝાઝાં વર્ષ થયાં, તેથી તેમાં ફેરફાર થઈ ગયો હોય, તો તમે જાણો ?
જોશી—એવું જાણવાની શક્તિ આજ કોઈનામાં નથી.
છોકરો—વિલાયતમાં દર વર્ષે જ્યોતિષ વિષે નવો નવો શોધ થાય છે તેથી એ વિદ્યાનો ત્યાં ઘણો વધારો થયો છે. વારૂં, તિથિ એટલે શું ?
જોશી—તિથિ એટલે તિથિ, બીજું અમે કશું જાણતા નથી. (એવામાં સાંઝ પડી એટલે બાઇડીઓ ચંદ્ર સામું જોઈને કહેવા લાગી, કે આ બીજ ઉગી છે. ત્યારે કેટલીએકે કહ્યું કે ત્રીજ ઉગી છે.
છોકરો—જુઓ મહારાજ. આ બાઇડીઓના જેટલું પણ તમે સમજતા નથી. કે તિથિ એટલે ચંદ્રની કળા. આપણા વર્ષની તિથિઓ ત્રણસેં ને સાઠ, અને દહાડા ત્રણસેને સાડી ચોપન આશરે થાય છે.
જોશી—એ વાતની અમને ખબર નથી.
છોકરો—(વૈદને પૂછે છે) માણસે ખોરાક ખાધો હોય, તે પેટમાં ઉતરવાની નળી કેવી છે ?
વૈદ—અમને ખબર નથી.
છોકરો—આંખ આગળની ધોરી રગ ક્યાં સુધી લાંબી છે ?
વૈદ—તે પણ અમે જાણતા નથી.
છોકરો—(પોતાના ઘરના બ્રાહ્મણને કહે છે) કેટલા બ્રાહ્મણોને દક્ષિણા આપવી છે ?