'આટલા વર્ષના વિવાહ પછી કે? હમણાં મુંબઈ આવ્યાં ત્યારે તો સુમનલાલનું નામ લેતાં તે ગીલગીલી થતી. સુમનલાલનું વાંકું બેલતાં તો ચ્હીડાઈ જતાં. એટલામાં એ ખરાબ થઈ ગયા કે? ત્યારે તો કાયમની લાગણી તો નહી જ રહેવાની ને ?'
'ભાભી એમ નહી, પણ અનુભવથી–સરખામણીથી એમ લાગ્યું કે એમાં કાંઈક ન્યૂનતા છે–ખામી છે.'
'ત્યારે ભૂજંગલાલ સપૂર્ણ હશે કેમ ? આજ આટલાં વર્ષ થયાં જેમાં ખામી ન જણાઈ તેમાં ખામી નિકળી તે પછી હજી બે મહિના કે છ મહિનાના પરિચયવાળામાં ખામી નહી જણાય એ કોણે કહ્યું ?'
'તે ખરું, પણ ભાભી, જ્યાં મન ખેંચાય ત્યાં જવું કે નહી ?'
‘હા, એ ન્યાય કબૂલ રાખો છો ? તમારા ભાઈનું મન ખેંચાયું હતું તે કેમ અટકાવ્યું ? તે વખતે લાગણીને વશ ન થવાની વાતો કરનારાં તમે જ ને? મન એ માંકડું છે. નાનું છોકરું જેમ એક રમકડું મૂકી બીજું રમકડું લેવા ફાંફાં મારે તેમ આપણે કરવું કે મનને કેળવણી, નીતિ, જનસમાજના કાયદાથી નિયમમાં રાખવું ?'
‘ત્યારે ભાભી ! આપણી રીત પ્રમાણે નાનપણથી જાણીયે નહી, ઓળખીયે નહી એવા સાથે સગાઈ કરી હોય તેમાં જ સુખ માનવું?'
'એનો જવાબ આપું છું, પણ પહેલાં કહો, કે પશ્ચિમની રીતે મોટી વય થયા પછી કન્યાઓ, યુવાનો સાથે રહસબંધ બાંધે અને મન-માન્યાં લગ્ન કરે છે એમાં પૂર્ણ સુખ છે ?'
'પૂર્ણ તો કોણ જાણે પણ આપણા કરતાં સારું !'
'બ્હેન, લાગે છેને ? એમનામાં છૂટાછેડાના દાખલા ઓછા બનતા નથી. સ્નેહ જ હોય તો એ બને ?'
'ત્યારે ?'
'તરલા! યુવાન સ્ત્રી-પુરૂષમાં યુવાવસ્થાના બળે, સોસાયટીની અસરે સામાન્ય રીતે ઉંડા ઉતરી શક્તા નથી. કાં તો સૌદર્ય, કાં