આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તરલા અથવા ઉર્મિનો આવેગ

થયેલા પ્યારવાળો પોતાનો વ્હાલો પતિ, પોતાના જીવતાં બીજાનો થાય એ કેમ જોઈ રહેવાય?

વસન્તલાલ સીનેમેટોગ્રાફના દેખાવોના ભણકારામાં તલ્લીન થતો આનંદભેર બંગલામાં દાખલ થયો. લુગડાં કાઢી દરરોજના નિયમ પ્રમાણે ચંદાને ખોળતો એના ઓરડામાં ગયો. ચંદા આરામ ખુરશી ઉપર પડી હતી. તેને જોતાં વસન્તલાલ સ્નેહભર દોડ્યો. જે ચંદા પતિ આવતાં, પતિનાં દર્શન થતાં, અનેક સંસારસુખ ભોગવ્યા છતાં એવી ને એવી સ્નેહાળ રહી હતી અને તેથી પતિના સ્હામી જતી. સ્મિતહાસ્યથી ઉછળતા હૃદયે અને સ્નેહભીના હૃદયે પતિને સંતોષતી તે જ ચંદા આજ પતિને આવતાં જોઈ એક ફેણ માંડતો, કરડવા આવતો કાળો નાગ હોય તેમ ઉઠી ત્રાડ પાડી બોલી ઉઠી, “આઘા રહો, મને અડશો નહીં. આનો શો અર્થ?”

વસન્તલાલ તો આભો જ બની ગયો. ક્ષણવારમાં ચીઠી ઉપર નજર ફેરવી. છાતીમાં છરી ખોસતા ખૂનીનું કાંડું પોલિસ પકડે ને ખૂનીની જે સ્થિતિ થાય તે સ્થિતિ વસન્તલાલની થઈ ગઈ. ન એનાથી બોલાયું કે ન એનાથી ખસાયું.

“બોલો, શું કહેવું છે ? આ જ ત્હમારૂં વ્હાલ ને ? ત–ત–પ–૫ રહેવા દો. મ્હારે નથી સાંભળવું. આજથી મ્હને બોલાવવી નહી.”

“પણ મ્હારૂં સાંભળ તો ખરી.”

“મ્હારે નથી સાંભળવું.” આટલું બોલતાં જ ચંદા દોડી એક બીજા ઓરડામાં જઈ બારણાને સાંકળ વાસી પલંગ ઉપર પડી. વસન્તલાલ પાછળ ગયો, પણ બારણાં બંધ હતાં. માત્ર અંદરથી રોવાનો અવાજ અને ડુસકાનો અવાજ આવતો હતો.