હૈડું હરખથી ઉછળતું હતું. જીવનની સફળતા થઈ એમ લાગતું હતું. 'અમારી લીલાને સુખી કરજો', 'લીલા જેવી કેળવાયેલી, વિવેકી, શરમાળ, ડાહી પત્ની મેળવવા તમે ભાગ્યશાળી થયા છો એ માટે તમને મુબારબાદી' એવા શબ્દો અરવિન્દના કાને પડતા. લીલાની બેનપણીઓના, લીલાનાં માતપિતાને સ્નેહીઓના તાર, ભેટો આવતી હતી, પરંતુ અરવિન્દ તરફથી કાંઈ જ નહોતું. અરવિન્દને ક્ષણભર લાગ્યું કે આ લગ્નથી હું સુખી નહી થાઉં. મ્હોટાની કન્યા લેવાથી જીવનનો શાન્ત આનંદ ખોવો પડે છે. આ શોભા–આ એકતરફી શોભા, ભેટ, મુબારકબાદીના તારોથી લીલાના મનમાં કદાચ પોતાને માટે વધારે ઉંચો મત બંધાઈ જશે. 'અરવિન્દને કોઈ ઓળખતું નથી, મ્હારા લીધે એ ઓળખાય છે, એમ કાંઈ થશે.' આમ લાગતાં અરવિન્દની આંખમાં આંસુ આવ્યાં. આ આંસુ હર્ષ અને જ્ઞાનનાં હતાં. લીલા તરફ અરવિન્દને શુદ્ધ પ્રેમ-ભાવ હતો. લીલા પોતાની થાય, અને એની સાથે પોતે શાન્ત ગામડાનું જીવન ગાળે એ એની મહેચ્છા [૧] હતી તે પુરી પાડવાનો આજ પ્રસંગ આવ્યો જાણી આનંદ થયો. પરંતુ લગ્નની ચોરીમાં જ પોતે કાંઈ જ નથી, લીલાને લીધેજ પોતાની ગણના થઈ છે અને લીલાને બહારના દમામ બહુજ પ્રિય હોય એમ લાગવાથી ભવિષ્યમાં કદાચ સુખી નહી થવાય એમ વિચાર આવતાં ખેદ થયો. લગ્ન-લગ્નસુખના વિચારો નાશ પામ્યા, અને સુખી થવામાં માત્ર અભ્યાસ, સ્નેહ એકલાં જ જરૂરનાં નથી પરંતુ ત્યાગ, બીજાને શી રીતે સુખી કરવાં એ વિચાર સતત મન આગળ રાખી તે પ્રમાણે અમલ કરવાની ઓછી જરૂર નથી. સાદું જીવન, ઉચ્ચ વિચાર, પ્રભુપ્રેમ અને શુદ્ધ સ્નેહ હોય તો જ લગ્ન પછીનું જીવન સુખમાં જાય છે એમ અરવિન્દને લાગ્યું. પણ હવે શું કરે ? 'લીલાથી સુખ નહી મળે એવા વિચાર અનુભવ વિના અત્યારથી કરી શા માટે દુઃખી થવું એ પણ વિચાર આવ્યો.
લગ્ન થઈ રહ્યું. વરકન્યા વળાવવાનો સમય થયો. લીલા અને
- ↑ ૧. મોટામાં મોટી ઈચ્છા.