ભૂજંગમાં આવો અવનવો ફેરફાર જોઈ ખિન્ન થઈ હતી. લીલા-તરલા ઉપર ભૂજંગ અસર ન કરી શક્યો ને ત્હેને બદલે સુંદર, મોહક પણ પ્રતાપવાન વીણા આવી તેથી જરા દિલગીર થઈ હતી. આમ છતાં આટલે વર્ષે ઘરમાં વહુ આવે છે એ વિચારથી રાજીરાજી થઈ હતી, અને એકનાએક છોકરાના લગ્નમાં ખરચ સામું ન જોવા ઠરાવ કર્યો હતો. કિશોરીલાલ વીણાના લગ્નમાં કાંઈક લગ્નની ગંભીરતા, લગ્નની મહત્તા સાથે લગ્નને આનંદ સાચવવા ઘટના ઘડતા હતા. આમ સુમન અને તરલા તથા ભૂજંગ અને વીણાના લગ્ને અનેક કુટુંબોમાં અસર કરી હતી. અવિવાહિત કન્યાઓ તરલા–વીણા થવા ઈચ્છતી હતી, પોતાની કન્યાઓને સુમન-ભૂજંગ જેવા પતિ મળે એમ ઇચ્છતાં માબાપ આ લગ્નને જોવા ઉત્સુક થયાં હતાં, અને લગ્નના દિવસો આવી પહોંચ્યા.
લીલા જુગલભાઈના મૃત્યુ પછી, જુગલભાઈની સારવાર કર્યા પછી, હોટલમાં જુગલભાઈની સ્થિતિ જોયા પછી, કાંઈ વિશેષ સ્નેહાળ બની હતી. સોસાયટીમાં હરવા ફરવામાં જ જીવનની સફળતા છે એ તેના વિચાર દૂર થયા હતા અને પ્રિય અરવિન્દના ગામડાંના જીવનમાં પણ સ્વર્ગસુખ ભોગવી શકાય એમ માનવા લાગી હતી. આમ લીલામાં અચબૂચ ફેરફાર થયો, અને અરવિન્દનો સ્નેહ વધારે પ્રદિપ્ત થયો. લીલાને વધારે એ ચાહવા લાગ્યો અને જુગલભાઇના મંદવાડથી-મૃત્યુથી પતિ પત્નીના સુખમાં રહેલો ઝીણો પડદો તૂટી ગયો એમ એને લાગ્યું. હવે ગામડાંમાં વધારે આનંદથી જીવન ગાળીશું, પરનું હિત કરી, કર્તવ્ય કરી ઉચ્ચ દંપતિ જીવન ગાળીશું એ વિચાર થયો. ત્યાં લીલાની સુવાવડ વચમાં નડી. અરવિન્દને કાઠિયાવાડ