આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બલિદાન: ૧૩૯
 

છું.' સમરસિંહે કહ્યું.

સમરસિંહને મેં કદી હથિયાર વાપરતાં જોયો ન હતો. તે હથિયાર રાખતો પણ નહિ; છતાં તેની હિંમત અને તેના બળનો મને પૂરો અનુભવ થયો હતો. ઠગના ઘણા સૈનિકો કહેતા કે સુમરો જ્યારે હથિયાર ધારણ કરતો ત્યારે તે અજેય બની જતો. એ સતત હથિયાર વાપરે તો આખા જગતને જીતે એવી ઘણાની માન્યતા મેં સાંભળી હતી. આઝાદ પણ એક ક્ષણ ચમક્યો. છતાં તે આજે જીવ ઉપર આવી ગયો લાગતો હતો. મટીલ્ડા અને આયેશાનો ભોગ આપવાની તેણે જ તરકીબ રચી હતી, અને એ જ ભયંકર પ્રસંગ ટાળવા માટે સુમરો ઠગ મને આટલી ઝડપે આ સ્થળ ઉપર લાવ્યો હતો. સુમરાની ગેરહાજરીમાં આ કાર્ય કરી નાખવાની આઝાદની ઇચ્છા હતી, પરંતુ સુમરો આવ્યો અને તેની યોજનામાં વિઘ્ન ઊભું થયું. સદાય નડતા સુમરાને સદાયનો દૂર કરવા તે લલચાયો હતો. એકાએક આઝાદે પોતાની તલવાર ખેંચી, ઊંચકી ને સુમરા ઉપર મારી. સુમરો આ જબરજસ્ત પ્રહારથી કપાઈ બે ટુકડે જમીન દોસ્ત થશે એમ મેં ધાર્યું.આખું ઠગ ટોળું ઊભું થઈ ગયું. એક ક્ષણમાં આખી ઠગ ટોળીએ એક આખા જીવનની રમત નિહાળી. કોઈ કાંઈ પણ કરી શકે તે પહેલાં એ પ્રહાર પડી ચૂક્યો.

આંખ મીંચી ઉઘાડતામાં તો સહુએ જોયું કે આઝાદની તલવાર ખણખણ કરતી દૂર પથ્થર સાથે અથડાતી પડી હતી અને સુમરો ભયંકર પણ મોહક સ્મિત સાથે જરા પણ વિકળતા અનુભવ્યા વગર ઊભો રહ્યો હતો. આઝાદના ઘાનું તેણે વગર હથિયારે નિવારણ કરી દીધું હતું. આઝાદના માનસને તે સમજી ગયો હતો, અને તેથી જ તેના પ્રહારને માટે તે ગમે તે ક્ષણે તૈયાર બની રહ્યો હતો. પડતા ઘાને બહુ જ ચાલાકીથી તેણે બચાવી લીધો એટલું જ નહિ, પણ એવી સફાઈથી આઝાદના ઊપડેલા હાથને તેણે ટકરાવ્યો કે તેની તલવાર પણ દૂર જઈ પડી.

આઝાદની તલવારમાંથી તેમ જ આઝાદની આંખમાંથી અગ્નિના તણખા ખર્યા. સુમરો હસ્યો અને બોલ્યો :

‘આઝાદ ! હું સ્ત્રી કે બાળકના વિરુદ્ધ હાથ ઉપાડનાર સામે હથિયાર ધારણ કરવાનું કહેતો હતો, મારા ઉપર હથિયાર ચલાવનાર સામે નહિ.’

‘ખાનસાહેબ ! મારું મોત સહેલું નથી. તમે આઝાદને આજે છૂટો મૂકો !' સમરસિંહે કહ્યું :

‘જરા પણ નહિ. મારા હુકમને ન માનનાર સામે...' ખાનસાહેબને આમ બોલતા અટકાવી આઝાદે કહ્યું :