‘તમે કોણ છો ?' મેં પૂછ્યું.
‘હું આખી ઠગ સંસ્થાનો પ્રમુખ છું. પ્રમુખનું નામ અને એનો આછો પડછાયો જ સહુએ ઓળખવાનો છે. બનતાં સુધી પ્રમુખ બહાર આવતો જ નથી.'
‘તમારે કેમ બહાર આવવું પડ્યું ?’
‘હું બહાર ન આવ્યો હોત તો ઠગસંસ્થા અપવિત્ર થઈ જાત.'
‘કેમ ?'
નિર્દોષોને મારવાની, સ્ત્રીઓને મારવાની, અન્યાયથી પૈસા લૂંટી લેવાની યોજનાઓ શરૂ થઈ હતી; એટલે મારે એ બધું રીતસર ગોઠવવું હતું.'
‘એ ગોઠવી શક્યા ?’
‘ના. તમે ન જોઈ શક્યા કે આયેશા અને મટીલ્ડાનાં બલિદાન, અપાતાં હતાં ?'
‘આયેશાએ મને આશ્રય આપ્યો હતો. એ વાત ખરી છે. છતાં દુશ્મનને આશ્રય આપનાર વિશ્વાસઘાતી છે; તેને મૃત્યુ જ હોય.' મેં કહ્યું.
‘એ આશ્રય પ્રમુખની આજ્ઞાથી આપ્યો હતો એ પહેલી વાત. છેલ્લું વાક્ય પ્રમુખ ઉચ્ચારે છે, બીજી વાત એ કે સ્ત્રીનો ગમે તે ગુનો હોય તોપણ તેને સજા થઈ શકે જ નહિ. એ અમારી ઇષ્ટ દેવીની પ્રતિકૃતિ છે.’
'ત્યારે આઝાદ એટલે સુધી પ્રસંગ કેમ લાવી શક્યો ?’
‘અમારે ત્યાં મતભેદ પડ્યો. સ્ત્રી ઠગબિરાદરીમાં દાખલ થાય એટલે પુરુષોના નિયમો તેને લાગુ થાય એમ કેટલાક માને છે - ખાનસાહેબ સુધ્ધાં. હું જુદો પડું છું. સ્ત્રી ઠગ હોય તો તેનો ઘાત ન જ થાય. આખી બિરાદરીનો એ પહેલો સિદ્ધાંત.'
‘એમ ભેદનું કારણ ?’
‘અમારી ભોગવાસના. સ્ત્રી મહાકાળી છે, છતાં તે મહામાયા પણ છે. આયેશાના ઝઘડામાંથી આખી બિરાદરી બંધ થઈ.'