આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઝાદની સોબત : ૮૧
 

હતો.

‘હું જ સાથે જવાનો છું, ગંભીરની જરૂર નથી.'

આઝાદે જણાવ્યું. ‘સાહેબની સલામતી માટે હું જવાબદાર છું એટલે ખરું જોતાં તો મારે જવું જોઈએ, પરંતુ ગંભીરને મોકલીશ તો ચાલશે.' આયેશાએ જવાબમાં જણાવ્યું.

‘હું કાંઈ સાહેબનું ખૂન કરવાનો નથી. મારી બીક તેમને લાગતી હોય તો ભલે ગંભીરને સાથે રાખે, પણ એવા દસ ગંભીર હોય તોયે, મારી ઇચ્છા તેમનું ખૂન કરવાની હશે તો મને કોણ રોકી શકે એમ છે ?'

આઝાદે અત્યંત અભિમાનથી જણાવ્યું. મને કોઈનો ડર લાગે છે એમ મેં કદી પણ કબૂલ કર્યું નહોતું. મેં આયેશાને જણાવ્યું કે મારે કોઈની જરૂર નહિ પડે. ગમે તેવા સંજોગોમાં હું નભી જઈશ. આઝાદ માટે મને જરા પણ વહેમ કે ડર ન હતો.

ગંભીરની દૂર આંખો ઝીણી થઈ, પરંતુ તે કાંઈ બોલ્યો નહિ.

‘ભલે, તો આપ જાઓ. ફરી મળીશું.' આઝાદ તરફ ફરીને તે બોલીઃ ‘આઝાદ ! ભૂલશો નહિ કે આ મારી સુપરત છે.'

આઝાદે જવાબ ન આપ્યો.

આયેશાને સલામ કરી હું પાછો ફર્યો અને અમે બંને ચાલી નીકળ્યા.

થોડી વારે ટેકરાઓ ચડતા ઊતરતા અમે સપાટ જમીન ઉપર આવ્યા. પાસે જ એક નાનું શિવાલય હતું. ત્યાં આગળ એક માણસ બેસી રહ્યો હતો. આઝાદે તેને હુકમ કર્યો : ‘બે ઘોડા તૈયાર કરી લાવ. અમે આ રસ્ત ધીમે ધીમે જઈએ છીએ.'

આ સ્થળે ઘોડાઓ ક્યાંથી બાંધી મૂક્યા હશે, તે મને સમજ પડી નહિ. પરંતુ થોડી વારમાં પેલો માણસ બે સુંદર પાણીદાર ઘોડા તૈયાર કરી અમારી આગળ આગળ આવ્યો અને અમે બંને ઘોડા ઉપર સ્વાર થયા.

જતે જતે પેલા માણસને આઝાદે કહ્યું : ‘કોઈ પૂછે તો કહેજે માતાવાળે રસ્તે ગયા છે.'

અમે ખરેખર જે રસ્તે જતા હતા. તે ન બતાવતાં બીજો રસ્તો બતાવવા તેને આ સૂચના કરી. અમે બંને આગળ વધ્યા.

થોડીવાર સુધી કોઈ કાંઈ બોલ્યુ નહિ. આછી ગીદમાં ઘોડાઓ ચાલ્યા જતા હતા. આઝાદે કેટલોક સમય ગયા પછી મને પૂછ્યું :

‘સ્લિમાનસાહેબ ! આપ અત્યારે કેવી સ્થિતિ અનુભવો છો ?'

‘બહુ જ આનંદભરેલી સ્થિતિ, પ્રદેશ ઘણો જ ખુશનુમા છે.