આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩૦ : તુલસી-ક્યારો


'હવે તું આંધળો મને શું કહેતો'તો.'

જે દેખતા હોયને, એ જરૂર હોય તેથી વધારે જોવા મંડે. એટલે મુદ્દાની વાત જોવી રહી જાય ને ન જોવાનાં જોયા કરે. અમે આંધળાં, એટલે જોવા જોગું જ જોઇએ.'

'શું જોયું?'

'એણે આપણને દેખી અદબ કરી. ને એ ઝબકી ગઈ.'

'બી ગઇ હશે?'

'ના, એળખીને શરમાઇ ગઇ હશે. મારી વાત એક જ છે. ઉપરનું ફોતરૂં સળ્યું છે, દાણો હજી આબાદ છે.'

'એટલે શું?'

'એ આપણું માણસ છે, ને આપણે પાછું હાથ કરવું છે. ગોવાળ એક ગાડરનાં બચ્ચાંની પણ ગોત કરવી છોડતો નથી. તો આ તો જીવતું માનવી છે.'

બોલતો બોલતો એ અંધ જ્યેષ્ટારામ જનોઇને બરડા પર વધુ ને વધુ લજ્જતથી ઘસી રહ્યો હતો. ખજવાળ આવતી હતી. જનોઇના ત્રાગડા જોરથી ઘસાતા તે મીઠું લાગતું હતું.

તુલસીનો છોડ વાયુમાં હલતો હલતો, દેવુના દેહ પર સૂકી મંજરીઓનો છંટકાવ કરી રહ્યો હતો. નિર્મળ જલ અને વગડાઉ ફૂલ, એ બેઉના મિશ્રણમાંથી નીપજતી જે એક અનિવાર્ય અને નિર્ભેળ ખુશબો એકલા ફક્ત શિવ-મંદિરમાંથી જ ઊઠે છે, તે આ રાત્રિ-પ્રહરની વિકટ વાતોમાં કશુંક સરલપણું પૂરતી હતી.

'આપણે આ મુરખાઇ શીદ કરવી જ્યેષ્ઠારામ?'