આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬૮ : તુલસી-ક્યારો


ભદ્રાના ધ્યાનમાં હતું કે એની નજીક એકે ય ચોપડી, છાપું કે પરીક્ષાનો જવાબપત્ર પડ્યો નહોતો.

'જવાબ કશો લખ્યો ભૈ?' ભદ્રાએ બોલતે બોલતે ચહાની ટ્રે બે હાથમાં ઝાલી હતી તેને, પૂજાનો થાળ કે પીરસણાનો ખૂમચો ઉપાડે એ રીતે પોતાના ડાબા હાથની હથેળીમાં ખભાને ટેકે ઉપાડી લીધો.

'જવાબ શું લખવો છે? તમે કહો તે દિવસની ગાડીમાં...'

એથી વધુ આગળ ન વધી શકેલું વીરસુતનું વાક્ય, માર્ગમાં રોદો આવે ને જેમ ભાર ભરેલ ગાડું ઊથલી પડે તેમ અટકી ગયું.

'મને લાગે છે ભૈ, કે અનસુ સંતાપતી હશે ને યમુના બેનનું બાપડીનું પાછું ઠેકાણું નહિ રહ્યું હોય. એ જ ખરૂં કારણ હશે. બાપુજીએ નીચે જે ટાંક મારી છે તેનું કશું ય એવું...'

ભદ્રા પણ વાક્ય પૂરું કરી ન શકી. એને લાગ્યું કે દેરનો અત્યારનો ગુસ્સો સસરાજીએ કાગળમાં નીચે મારેલી ટાંકને આભારી હશે. એ નીચે મારેલી ટાંક આ હતી કે 'ગામલોકોને મોંએ પણ કાંઈ હાથ દેવાતો નથી ભાઈ ! ભદ્રા તારા ઘરમાં એકલાં રહે તેની આપણાં જ્ઞાતિજનોને આંહીં બેઠે પણ ચિંતા થાય છે. આપણી ફરજ લોકાપવાદને વધુ કારણ ન આપવું તે છે.'

'મને કારણનું કાંઈ નથી.' મોં પર તો તોબારો ચડ્યો હતો તેને જ સુસંગત એવા અવાજે આ શબ્દો વીરસુતે ઉચ્ચાર્યા; ને ચોપડી લેવા એના હાથ ત્યાં બેઠે બેઠે આંબી શકે એવું ન હોવાથી એણે પોતાની હથેળીની રેખાઓ વાંચવી શરૂ કરી દીધી.

'એ તો હું બાપુજીને કહીશ ભૈ ! કે તમે મારી પ્રતમ્યા જે રીતે સાચવી છે તે તો સગી માના જણ્યા જેવી... તમે... તો... મને આંહી