આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તાવીશમું
'ચાલો અમદાવાદ'

જે આંહીં સ્ત્રી-જાગૃતિની શાખા ખોલી છે, કાલે ત્યાં સભા રાખી છે, વગેરે વગેરે પ્રકારના સંદેશા છોડતું છોડતું ભાસ્કરભાઇ અને કંચન બહેનનું જોડલું દૂર દૂરનાં શહેરોમાં ઘૂમી રહ્યું હતું અને કંચન ઉપર ભાસ્કરે પોતાની સત્તા એટલી બધી જમાવી દીધી હતી કે કંચનની ટપાલ પણ પહેલી ફોડીને વાંચ્યા પછી જ ભાસ્ક્સર આપતો. શરૂ શરૂમાં થોડો વખત વાંધો લેતી કંચનને એને ખુલાસો કરેલો કે 'તું ન સમજ બાપા ! ન સમજ એમાં. તારા ઉપર કૈક માણસો દુષ્ટ કાગળો લખે, લોહી તપાવનારા કાગળો લખે, તે બધા જો તને આપું તો તો તું ઉશ્કેરાઇને અરધી જ થઇ જા ને!'

'પણ આવું બંધન તો વીરસુતે પણ નહિ રાખેલું.' એક વાર પોતાનો કાગળ ટપાલમાં નાખવા દેતી વખતે જ્યારે ભાસ્કરે વાંચવા માટે ખોલ્યો ત્યારે કંચને લગભગ રડું રડું થઇને કહેલું.

'હવે એ બેવકૂફના વખતની વાત શીદ કરતી હઈશ? મને મારી રીતે તારું શ્રેય કરવા દેને બાઈ!'

એ જવાબ ભાસ્કર તરફથી મળ્યા પછી કંચન વધુ ને વધુ બીતી. ને કયા પ્રકારે ભાસ્કરથી છૂટીને અન્ય સ્નેહીઓનાં ઘર ભેગી