આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિવેદન

વાર્તા પણ 'વેવિશાળ'ની જેમ, 'વેવિશાળની'ની પછી, 'ફુલછાબ'ની ૧૯૩૯-૪૦ની ચાલુ વાર્તા લેખે પ્રકટ થઈ હતી, ને તેની જ માફક કટકે કટકે લખાઇ હતી. 'વેવિશાળ'માં એક વૈશ્ય કુટુંબનો સંસાર આલેખવાનો યત્ન હતો, ને આમાં એક બ્રાહ્મણ કુટુંબનો.

આ બેઉ વાર્તાઓમાં જે દૃષ્ટિ કામ કરી ગઇ છે તેને વિષે આપણા જાણીતા વિવેચક શ્રી નવલરામ ત્રિવેદી એ એવું લખ્યું છે કે-

"દરેક માણસ જગતની દૃષ્ટિએ મહાજન ન થઈ શકે, પણ નૈતિક જીવનમાં ઉન્ન્તતિ મેળવી સાચી મહત્તા તો પ્રાપ્ત કરી શકે એવું એમની આ નવલકથાઓમાં ખાસ દેખાય છે. 'ભાભુ' (વેવિશાળ) અને 'ભાભી' (તુલસી-ક્યારો) જેવાં પાત્રો બતાવે છે કે ગુજરાતનાં ગામડાંની અભણ સ્ત્રીઓ પણ પોતાના દરરોજના જીવનમાં કેટલી વીરતા ને ઉદારતા તથા ઉચ્ચતા બતાવી શકે તેમ છે. શ્રી મેઘાણીનાં આવાં સ્ત્રીપાત્રો તેમજ 'માસ્તર' જેવાં પુરુષપાત્રો સામાન્ય વાચકોના મનમાં સિદ્ધ થઇ શકે તેવી પ્રશસ્ય મહત્ત્વકાંક્ષાઓના અંકુરો પ્રકટાવે છે........."

આથી વધુ કશું જ મારે મારી આ વાર્તાનાં પાત્રો વિષે ઉમેરવાપણું રહેતું નથી. ' સામાન્ય માનવીમાં રહેલી આંતરિક મહત્તાની સિદ્ધિની શક્યતા' - એ રૂપી તુલસી-ક્યારે જો મેં મારી શક્તિની આ નાનીશી ટબૂડી સીંચી હોય, તો તેને હું મારી જીવનભરની કૃતાર્થતા માનીશ.

આ વાર્તાનો વાચક સમૂહ 'વેવિશાળ'માં જે આત્મીયતા અનુભવી ગયો છે તે જ આત્મીયતા આમાં બતાવી ચુક્યો છે. પણ 'તુલસી-ક્યારો'