આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

વહેમીલી કહેતા હતા. આજ તો રાતા પાણીએ રોતા હોત - જો હું મૂરખી ન થઈ હોત તો !

" સાચું છે." કહીને પ્રતાપ શેઠ ઘરના વાતાવરણમાંથી વેગભર બહાર નીકળી ગયા.

અનાથાલયના દરવાજે એણે ગાડી ઊભી રાખી ત્યારે અંદરથી હાકોટા સંભળાતા હતા : " ખબરદાર, એય બાડા, ફરી વાર ખીચડી માંગવાની નથી. નહિતર ચામડું ચીરી નાખીશ."

ગાડીનો ધબકાર સંભળાયો એટલે એક આદમી બહાર આવ્યો. એની ઉંમર ઓગણીસ-વીસ વર્ષની હતી. એની જમણી કાખમાં લાકડાની ઘોડી હતી. એનો ડાબો પગ લૂલો હતો. એનું મોં જાણે કે કોઈ સ્વતંત્ર ઘાટ નહોતું ધરાવતું. કોઈ ચોક્કસ બીબામાં ઢાળેલી ઢાળકી જેવી એની સિકલ હતી. એણે ખબર આપ્યા : જૂના સંચાલક ગઈ કાલે જ ગુજરી ગયા.

" તમે કોણ છો ?"

" આંહીંનો આસિસ્ટંટ છું. અંદર પધારો ને ? છોકરાં ખાઈ રહ્યાં છે. આપને ગીતો સંભળાવીએ."

પ્રતાપ શેઠ અંદર ગયા અને છોકરાંઓએ આ લાકડાની ઘોડી પર ઠેકતા માણસનો ઇશારો થતાં અરધું ખાધેલું પડતું મૂકીને ઝટપટ હાથ ધોઈ હારબંધ ગોઠવાઈ ગીત ઉપાડ્યું :

નાનપણમાં કોઇના માતાપિતા મરશો નઈં...ઈં...ઈં...ઈં.

પ્રતાપ શેઠનું ધ્યાન એ ગીતમાં નહોતું. છોકરાં પોતપોતાનાં શકોરાંને ચાંચોના પ્રહાર કરતા કાગડા તરફ ઘાતકી નજર કરીને કાગડા ઊડે તે માટે સ્વરોને વધુ કર્કશ બનાવતાં હતાં.

" તમે આંહીંના છો ? "

" કેટલાં વર્ષથી ? "

" બાર. "