આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૬
વસુંધરાના વહાલાં-દવલાં
 


" ઇંદ્રનગરની જેલ પાછળના મેદાનમાંથી ચૌદ વર્ષ પૂર્વે અંધારી મધરાતે મને એક બાળક મળ્યું હતું : અનાથાશ્રમ કોને કહેવાય તે હું જાણતો નથી. મને તો જેલ પાછળથી છોકરો જડ્યો હતો."

એવાઓની સાચી નિશાની જેલ છે !

ઝ્ંડૂરિયાને એ જેલ પછવાડે વેરાનમાં અરધી રાતે લઈ જઈ ઊભો રાખ્યો. પૂછ્યું : " તને કાંઈ યાદ આવે છે ?"

હસતા બાળકને હૈયે બાલ્યાવસ્થા પાછી આવતી અતી. એણે યાદ કરી કરી કહ્યું : " મા, મા, એવા બોલ આંહીં હું બોલ્યો હતો એવું લાગ્યા કરે છે."

"ક્યાંથી આવ્યો હતો તું ? રસ્તો યાદ આવે છે ? "

ઝંડૂર ચાલ્યો. અનાથાલયને દ્વારે આવી ઊભો રહ્યો. ત્યાં તો નવાં અમરતા-મંદિરોના ઉઠાવ થયા હતા. એને અસલ દ્વાર યાદ આવ્યું પણ જડ્યું નહિ. આખરે એણે લૂલિયાને જોયો. એણે સ્થાન ઓળખ્યું. એણે એક ચીસ નાખી, એ ચકળવકળ જોતો રહ્યો.

લૂલિયાએ ઘણાં વર્ષો પર સલામ નહિ ભરનારા બાળકનું જુવાન રૂપ ઓળખ્યું, હોઠ પારખ્યા.

હજુય એ બિહામણા ચહેરા પર મા ! મા ! શબ્દનો સૂનકાર છવાયો અતો. ' મા, મા,' નો પુકાર એ મોં પર થીજી ગયો હતો જાણે.

એને અંદર લઈ જવામાં આવ્યો. બાળકો સૂતાં હતાં. ખીચડીનું અદીઠું તપેલું પડ્યું હતું. કડછી હતી. શકોરાં હતાં. અને મોટામાં મોટી નિશાની રૂપિયા ૫૦૦માં નામ અમર કરી આપનારી આરસની તકતીઓ હતી. પોતાનું ભૂખ્યું, રોતું. માખી બણબણતું, માવિહોણું મોં લીસી છાતીએ લેનારી એ તકતીઓની પિછાન સમી અન્ય એકેય ઓળખાણ ઝંડૂરની સ્મૃતિમાં સ્પષ્ટ ને સ્વચ્છ નહોતી.

" મને આંહીં શા માટે આણ્યો છે ? મને જલદી બહાર લઈ જાવ. હું સલામ ભરવાનો નથી." એ બોલી ઊઠ્યો.

એને પાછો રાણી઼જીના હવાઈ મહેલે દરિયાને તીરે લઈ જવામાં