આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ઘોડાગાડીના ઘૂઘરા
 


વાઘણિયાની સીમમાં અત્યારે ઓતમચંદ શેઠની ઘોડાગાડીના ઘૂઘરા વાગતા હતા. વાઘણિયાથી અમરગઢ સ્ટેશન સુધીનો ગાડામારગ ગાજી ઊઠ્યો હતો.

આડે દિવસે તો આ મારગ ઉપર ભાગ્યે જ એકાદબે ગાડાં, બે-ચાર પગપાળા ખેડૂતો કે ખેપિયા, સરકારી ‘બીંડલ’ લઈને જતો અસવાર અને ટપાલ ખાતાનો પગપાળો હેલકારો પસાર થતાં હોય. એ સિવાય સીમમાં સામાન્ય રીતે સૂનકાર જ છવાયો રહેતો. કોઈ વાર ભરવાડનો છોકરો દર્દભરી વાંસળી વગાડે, કોઈ રડીખડી ગાય બાંબરડું નાખે કે ધણખૂંટ ભાંભરે, એ સિવાય આખી સીમ જાણે કે સૂની જ રહેતી.

પણ અત્યારે અસલ જાતવંત ઘોડાના ડાબલાએ દિશાઓ ગજાવી મૂકી હતી. વેંત વેંત ઊંડા ધૂળના થર ભરેલ એ કાચા મારગ પર ઘોડાના ડાબલા પડતાં ખેપટ ઊડતી હતી.

માથોડું માથોડું ઊંચી ચડતી ડમરીમાંથી ધૂળના રજકણ ઊડીને ઘોડાગાડીની અંદર આવતા હતા અને ચારપાંચ વરસની ઉંમરના એક કિશોરની આંખમાં ભરાતા હતા. પણ કિશોર ઘોડાગાડીની સહેલનો એવો તો શોખીન હતો અને અત્યારે મારગની બેય બાજુએ પથરાયેલાં હરિયાળાં ખેતરોનાં દૃશ્યો જોવામાં એ એવો તો ગુલતાન હતો કે ધૂળના ગોટાને એ ગણકારતો નહોતો.

‘કાકા, કાકા, ઓલ્યું જાય એ શું કે’વાય ?’ ખેતરમાં ઝડપભેર પસાર થતા એક ચોપગા પ્રાણી તરફ આંગળી ચીંધીને કિશોરે ગાડીમાં બેઠેલા એક મોટેરા માણસને પૂછ્યું.

ઘોડાગાડીના ઘૂઘરા
૧૩