આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૮

વિપદ પડે પણ વણસે નહીં
 


ઓતમચંદ વધારે સ્વસ્થ થઈને એભલ તથા હીરબાઈ સાથે સુખદુઃખની વાતોએ વળગ્યો હતો ત્યાં જ બારણામાં ચંપા આવીને ઊભી રહી. એના એક હાથમાં થાળી હતી અને થાળી ઉપર સાડલાનો છેડો ઢાંક્યો હતો.

હીરબાઈએ જોયું કે ઓતમચંદની હાજરીમાં ચંપા અંદર પ્રવેશતાં અચકાય છે તેથી તેઓ પોતે જ ઊઠીને ઓસરીમાં ગયાં.

‘અરે ! ચંપા તો તમારે સારુ થાળી પીરસીને લઈ આવી છે !’ હીરબાઈ ઉત્સાહભેર મોટે અવાજે બોલી ઊઠ્યાં.

‘ધીમે, ધીમે, હીરીકાકી !’ ચંપાએ હળવે સાદે હીરબાઈને કહ્યું.

‘ઘેરેથી છાનીમાની આવી છું. કોઈને ખબર પડવા દેજો મા… ના, મહેમાનનેય નહીં, કોઈને કાને નહીં… ના, ના. ઘરમાં હોળી સળગેલી જ છે એમાં ઠાલું વધારે સળગશે…’

‘શું થયું છે ?’ હીરબાઈએ સચિંત અવાજે પૂછ્યું.

‘સંધીય વાત નિરાંતે સમજાવીશ.’ કહીને ચંપાએ મણ એકનો નિસાસો નાખ્યો:

‘મારાં અભાગણીનાં નસીબ જ વાંકાં છે. એમાં કોઈ શું કરે ?’

આટલા શબ્દો ૫૨થી તો હીરબાઈ ઘણું ઘણું સમજી ગયાં. સાંજે થયેલી વાતચીતનો તંતુ પણ તેઓ પકડી શક્યાં. તેઓ જોઈ શક્યાં કે ચંપાનું અંતર રડી રહ્યું છે. એ ક્રંદન મૂંગું હોવાને કારણે વધારે કરુણ લાગતું હતું.

‘મહેમાનને ડિલે હવે કેમ છે ?’ ચંપાએ પૂછ્યું.

વિપદ પડે પણ વણસે નહીં
૧૬૭