આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘મારો દકુભાઈ !’ કહીને લાડકોરે છેલ્લો ઉદ્‌ગાર કાઢ્યો.

જમી કારવીને, એંઠવાડ કાઢ્યા પછી લાડકોર સાંજ પડવાની રાહ જોતી રહી. દકુભાઈને ત્યાંથી આવેલ નગદ નાણાંની જાણ રાતે જ થઈ શકે એમ હતી. ઓતમચંદ તો જમી પરવા૨ીને સીધો દુકાને જ ગયો હતો. હવે તો ક્યારે સાંજ પડે ને ક્યારે પતિ વાળુ કરવા આવે એની પ્રતીક્ષા થતી હતી.

લાડકોરને આજનો દિવસ લાંબામાં લાંબો લાગતો હતો — કેમેય કરી સાંજ પડતી જ નહોતી. ઘડીભર તો એને થયું કે પતિની રાહ જોયા વિના હું જ પટારામાંનું પોટલું છોડી નાખું અને જાણી લઉં કે એમાં કેટલીક મૂડી ભરી આવ્યા છે. પણ દામ્પત્યની કેટલીક અણલખી શિસ્તની અંતર્ગત સમજણે લાડકોરને એમ કરતાં રોકી, ‘કાંઈ નહીં, ઘડીક વારમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે ?’ એમ વિચારીને એણે પતિની રાહ જોવાનું જ ગનીમત ગણ્યું.

આખરે રાત પડી !

પતિના પગ દાબતાં દાબતાં જ સુખદુઃખની વાતો કરવાની લાડકોરને આદત હતી. એ આદત મુજબ, આજે પણ વાત વાતમાં જ એણે ઓતમચંદની અનુમતિ માગી:

‘પટારો ઉઘાડું ?’

સાંભળીને ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યો. બપોરથી અત્યાર સુધી ગુપ્ત રાખેલું રહસ્ય હમણાં છતું થઈ જશે ! બીજી બધી બાબતોમાં તો પત્નીને સુખદ ભ્રમમાં રાખવામાં પોતે આબાદ સફળ થયો હતો. પણ આ પોટકાની બાબતમાં હવે વધુ વાર ભ્રમજાળ જાળવવાનું મુશ્કેલ હતું.

‘પટારો ઉઘાડું ?’ના ઔપચારિક પ્રશ્નનો ઓતમચંદ કશો ઉત્તર

મારો દકુભાઈ !
૧૮૯