આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૧

મૂંગી વેદનાની મુસ્કરાહટ
 


થોડી વારમાં કીલાની જીભ એકાએક બંધ થઈ ગઈ તેથી નરોત્તમને નવાઈ લાગી. એણે પોતાના ભાઈબંધના મોઢા તરફ નજર કરી ત્યારે વધારે નવાઈ લાગી. કીલો મૂંગો થઈ ગયો હતો એટલું જ નહીં, એના રમતિયાળ ચહેરા ઉપર ગજબની ઉદાસી છવાઈ ગઈ હતી. એની આંખો સેંકડો શ્રોતાઓની આરપાર થઈને સીધી સાધ્વીજી ઉપર જ કેન્દ્રિત થઈ હતી. એ અનિમિષ નજરમાં કયો ભાવ હતો ? સાધ્વીજી પ્રત્યેનો પૂજ્યભાવ ? સંસારત્યાગી પ્રત્યેનો આદરભાવ ? અનુકંપા ? ઉપેક્ષા ? ઈર્ષ્યા ? કે ઉપાલંભ ?… એ સમજવાનું નરોત્તમ જેવા બિનઅનુભવી માણસનું ગજું નહોતું.

વ્યાખ્યાન પૂરું થયું. શ્રોતાઓ વીખરાવા લાગ્યાં. પણ કીલો પોતાના સ્થાન પરથી ખસ્યો નહીં. વ્યાખ્યાન-મંચ ૫૨ ખોડાયેલી નજર પણ એણે પાછી ખેંચી નહીં.

નરોત્તમ વધારે આશ્ચર્યથી થોડી વાર તો કીલા સામે તાકી જ રહ્યો. પણ પછી ધી૨જ ખૂટતાં એણે પોતાના સાથીદા૨ને જાગ્રત કર્યોઃ

‘કીલાભાઈ, હવે ઘરઢાળા હાલશું ને ?’

‘મહાસતીને વંદણા કર્યા વિના જ ?’ ઝબકીને કીલાએ ટૂંકો ઉત્તર આપી દીધો અને ફરી પાછો મૂંગો થઈ ગયો.

ઉપાશ્રય લગભગ આખો ખાલી થઈ ગયો અને સાધ્વીજીઓ પાસે બે-ચાર ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ જ ઊભેલાં રહ્યાં ત્યારે કીલો ધીમે પગલે આગળ વધ્યો. ‘અહીં સુધી આવ્યા છીએ ને વંદણા કર્યા વિના પાછા જઈએ તો પાપ નો લાગે ?’ એમ કહીને એણે નરોત્તમને પણ સાથે લીધો.

૨૦૪
વેળા વેળાની છાંયડી