આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘અલ્યા, તું તો આવડો મોટો અમલદાર થયો તોય રેંકડીનો મોહ છૂટ્યો નહીં?’

‘નહીં જ છૂટે; ને છોડવોય નથી. મંચેરશા!’ કીલાએ સમજાવ્યું ‘અમલદારી તો આજ છે, ને કાલ ન હોય. પણ રેંકડી તો કાયમ રોટલા આપે. તમે તો રજવાડામાં જ ઊછર્યા છો, એટલે જાણો છો, કે ઊતર્યો અમલદાર કોડીનો. હું પણ હોદ્દેથી ઊતરું તો પાછો રેંકડી ઉપર બેસી જઉં. બાકી આ બધાં માનપાન કીલાને નથી મળતાં. કીલાના હોદ્દાને મળે છે… મારા બાપુ કહેતા, કે સિપાઈને નહીં સિપાઈની લાકડીને માન છે.’

માનપાન વિશેની વાતચીતમાંથી કયા કયા રાજવીઓ કીલાને નજરાણું કરી ગયા એની વાત નીકળી. કીલાએ જરા ક્ષોભ સાથે જણાવ્યું:

‘આપણો અજુડો પણ સોનેરી સાફો ને મીઠાઈનો ટોપલી મૂકી ગયો—’

નરોત્તમ આ ‘અજુડો’નો અપરિચિત નામોચ્ચાર વિચારમાં પડી ગયો, પણ મંચેરશા તો એનો સંદર્ભ તુરત સમજી ગયા. ‘અજુડો’ એ સીતાપુરના વર્તમાન ઠાકોર અજિતસિંહનું બાળપણનું આ ભાઈબંધોએ યોજેલું વહાલસોયું સંબોધન હતું. એ અજુ સાથે કીલો અને મંચેરશા રજવાડી બગીમાં બેસીને ફરવા નીકળતા. રમતો રમતા, મસ્તીતોફાન કરતા; પણ હવે અણગમતા બની ગયેલા નામનો ઉલ્લેખ સાંભળીને મંચેરશાએ પ્રકોપ ઠાલવ્યો:

‘અજુડો તને મીઠાઈની ટોપલી આપી ગિયો? ને તેં એ લઈ પણ લીધી?’

‘લઈ જ લેવી પડે ને!— માણસ સામેથી આપવા આવે એને આડા હાથ થોડા દેવાય છે?’ કીલાએ કહ્યું.

‘એ અજિતસિંહના બાપે તો હેમતરામને ઝેર ખવરાવિયું હતું, ને

૩૦૦
વેળા વેળાની છાંયડી