આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ વિલાયતમાં કપાસ નહીં ઊગતો હોય?’

‘વિલાયતમાં તો, કહે છે કે કોલસા સિવાય કાંઈ નથી પાકતું એટલે અમેરિકાથી રૂ મંગાવીને મિલ ચલાવે છે. મનસુખલાલ ગયા કાગળમાં લખતા’તા કે હમણાં અમેરિકામાં લડાઈ ફાટી નીકળી છે એટલે વિલાયતની મિલો અટકી પડી, ને આપણા રૂની માંગ વધી ગઈ છે…’

સંતોકબાને આ આંતરરાષ્ટ્રીય અર્થકારણમાં કશો રસ નહોતો—વિશ્વવેપારની વિગતોમાં એમને ગતાગમ પણ નહોતી. એમને તો એક જ ચિંતા પરેશાન કરતી હતી: મુફલિસ ઠરેલો ઓતમચંદ ફરી પાછો માલદા૨ કેમ કરીને બની ગયો?’

વડીલો વચ્ચે ચાલી રહેલો આ સંવાદ સાંભળીને ચંપાને કહેવાનું મન તો થયું કે નરોત્તમને લીધે જ ઓતમચંદ શેઠ મુફલિસમાંથી માલદાર બન્યા છે; પણ એણે કશું બોલવાને બદલે મૂંગા રહેવાનું જ ઉચિત ગણ્યું. એ તો કરુણ છતાં રમૂજભરપૂર જીવનનાટકનો તાલ જોવા ઇંતેજાર હતી.

મોટી બહેન સાડલા તળે કશુંક છુપાવીને લાવી છે, એમ સમજાતાં જસીએ ચંપાને પૂછ્યું: ‘છેડા નીચે શું ઢાંક્યું છે?’

‘તારે શી પડપૂછ?’ કહીને ચંપાએ પેલું રમકડું સંભાળપૂર્વક પેટીમાં મૂકી દીધું અને ફરી માતાપિતા વચ્ચે ચાલી રહેલા રસિક સંવાદ તરફ કાન માંડ્યા.

‘એણે નરભા ગોર પાસે રસોઈ કરાવવાની ના પાડી, ને કીધું કે ગામમાં મારી બેનનું ઘર છે. ત્યાં જમવા જઈશ—’

‘પણ ઓતમચંદ શેઠની બેનનું નામ તો આપણે સાંભળ્યું નથી, આ ગામમાં,’ સંતોકબા કહેતાં હતાં: ‘લાડકોરની એક આઘેની સગાઈની બેન છે ખરી; પણ એને ઘરે જમવા ગયા હશે તો તો આપણને ખબર પડ્યા વિના થોડી રહેવાની છે? એની છોકરી, શારદા તો

હું એને નહીં પરણું !
૩૨૧