આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બર્માની કમાણી ખૂટી પડી પછી મારી મૂડી ઉછીની માગી. આ ગરીબ માણસ પાસે ખાવા સારુ ન હોય, પણ જાવા સારુ જે ચપટી-મૂઠી હતું એ બધું ઉસરડીને દકુભાઈને ધી૨ી દીધું.’ મુનીમે ફરી રડતે અવાજે ચલાવ્યું, ‘મને તો એમ કે શેઠની મોટી સાખ છે, એટલે મૂડી પાછી વ્યાજ સોતી દૂધે ધોઈને આપશે. પણ માણસ જેટલા મોટા એટલા જ ખોટા. મોટાનાં મોટા ભોપાળાં—’

‘પણ તો પછી મૂડી ધીરતાં પહેલાં તમારે વિચાર કરવો હતો ને!’

‘મને શું ખબર કે ઢોલની માલીપા પોલંપોલ છે? હું તો દકુભાઈને સાજાની માણસ સમજીને ભીડને ટાણે ટેકો દેવા ગયો. પણ મોલમિનમાં મોટું કબાડું કરીને આવ્યા હશે, ને એના છાંટા ઈશ્વરિયા લગી ઊડશે એની મને શું ખબર?’

‘હોય, એમ જ હાલે. માણસના ત્રણસો ને સાઠેય દિવસ સરખા નથી જાતા. કોઈ વાર છત તો કોઈ વાર અછત—’

‘પણ શેઠ, છત ડાહી ને અછત ગાંડી. દકુભાઈની દાનત જ ખોરી ટોપરાં જેવી હશે એની મને શું ખબર! પેટમાં જ પાપ. પોતે તો ખુવાર થયા, પણ જાતી જિંદગીએ મનેય ખુવારને ખાટલે કરતા ગયા—’

સાંભળીને ઓતમચંદ વિચારમાં પડી ગયો. દકુભાઈનું જીવનચક્ર આવી રીતે આખો આંટો ફરી રહીને પાછું મૂળ સ્થાને આવી ઊભશે એવી તો એને કલ્પના પણ નહોતી. થોડી વાર વિચાર કરીને એણે દિલસોજી દાખવી: ‘બિચારા દકુભાઈને તો ધરમીને ઘેર ધાડ પડવા જેવું થયું!’

‘એ વાતમાં શું માલ છે, શેઠ? દકુભાઈ કેવાક ધરમી હતા, એ તો તમારા કરતાં હું જ વધારે જાણું છું,’ મુનીમે હવે તો બેધડક વાટવા માંડ્યું, ‘બાપદીકરાનાં બેયનાં લખણ સરખાં જ છે—’

‘બાલુની વાત કરો છો?’ ઓતમચંદે પૂછ્યું.

૩૭૪
વેળા વેળાની છાંયડી