આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પૂજા માટે પાટલા ૫૨ બેઠો હતો. બાજુમાં બેઠેલી લાડકોરે પણ લગન વખતનું ઘરચોળું પહેર્યું હતું.

બાજુના ૨સોડામાં જમણવા૨ની ધમાલ ચાલતી હતી, તેથી માણસોની અવરજવર વધી ગઈ હતી. પણ એમાં ક્યાંય દકુભાઈનાં દર્શન ન થતાં ઓતમચંદને આશ્ચર્ય થતું હતું.

આ આશ્ચર્ય અવધિએ પહોચ્યું ત્યારે ઓતમચંદે મુનીમને નજીક બોલાવીને ચાલુ પૂજનવિધિએ પૂછ્યું:

‘દકુભાઈ ક્યાં છે ?’

ખંધો મુનીમ બોલ્યો: ‘મને ખબર નથી,’ અને પછી મર્મયુક્ત મુસ્કરાહટ કરીને ચાલ્યો ગયો.

શંભુ ગોર શ્લોકો ગગડાવતો જતો હતો, ઓતમચંદ મૂંગો મૂંગો એ સાંભળી રહ્યો હતો, અને ગોર મહારાજ તરફથી જે જે વસ્તુના ‘સમર્પયામિ’ આદેશ મળે તે તે વસ્તુઓનું સમર્પણ કરતો જતો હતો. બધું યંત્રવત્ જ. ઓતમચંદનું ચિત્ત આ યજ્ઞવિધિમાં નહોતું ચોટતું.

દકુભાઈની ગેરહાજરીએ ઓતમચંદને અકળાવી મૂક્યો હતો. બેચાર જણાને પૃચ્છા કરી જોઈ પણ કોઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં એ નાસીપાસ થયો. આવા શુભ પ્રસંગે પોતાના સગા સાળાની ગેરહાજરી સહેતુક હોવા અંગે ઓતમચંદને અંદેશો ઊપજ્યો.

આ બધા સમય દરમિયાન સમજુ લાડકોર એકધારું મૌન જાળવી રહી હતી. પણ પૂજનવિધિએ જ્યારે ઓતમચંદે દકુભાઈ અંગે વધારે પડતી પૂછગાછ ક૨વા માંડી ત્યારે લાડકોરથી ન રહેવાયું. પોતાના સ્વભાવ પ્રમાણે એણે પતિને પ્રેમાળ પણ મક્કમ અવાજે મીઠો ઠપકો આપ્યો:

‘તમે મૂંગા રિયો ને ! પૂજા ક૨વા ટાણે તો જીવને શાંતિ રાખો !’

‘પણ દકુભાઈ ક્યાંય દેખાતો નથી !’

રંગમાં ભંગ
૩૭