આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘આજે હવે હું સાચેસાચ સંસારી થાઉં છું, એટલે હવે આ માળા—’

નરોત્તમે ધાર્યું કે હવે કીલાભાઈ આ માળા ઉતારી નાખશે, પણ ત્યાં તો એણે બે હાથ વડે ઝાટકો મારીને હવે આ માળા તોડી નાખું છું.’ કરતાકને મણકા વેરવિખેર કરી નાખ્યા.

મંચે૨શા ‘અરે અરે! કીલા આ શું?’ કરતા રહ્યા અને માળાના મણકા જમીન પર વેરણછેરણ થઈ ગયા.

‘આ માળા મારી છાતી ઉપર સીસાની જેમ બેઠી હતી.’

કીલાએ સમજાવ્યું, ‘એક વાર સંસા૨ કડવો ઝેર લાગ્યો ત્યારે આ માળા ડોકમાં ઘાલી’તી. પણ સાધુજીવન નજરે જોયા પછી તો એમાં સંસાર કરતાંય વધારે સડો ને વધારે ગંદવાડ લાગ્યો. એના કરતાં તો સંસારજીવન ક્યાંય અદકું, ઊજળું ને ઉજમાળું છે. સાધુ થઈને કાયાનું કલ્યાણ કરવાનાં ને પરલોકનું ભાથું બાંધવાનાં પડળ મારી આંખે બાઝ્યાં હતાં, હવે લાગે છે કે સંસારમાં રહીને જ કાયાનું ને આત્માનું કલ્યાણ થઈ શકે છે. સાધુજીવનની હેડમાંથી હવે હંમેશનો છૂટો થાઉં છું, ને તમારી બેય જણની સાક્ષીએ આ ડોકમાં પડેલી બેડી તોડી નાખું છું—’

બારણા પર ટકોરા પડ્યા. ગોર મહારાજનો અવાજ સંભળાયો: ‘કીલાભાઈ, સાબદા થાવ ઝટ!—ચોઘડિયું વહી જાશે—’

અને કીલાએ ચોંપભેર અંગરખું પહેરીને કસ બાંધવા માંડી.

૩૮૮
વેળા વેળાની છાંયડી