આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મન ભલે એ નરોત્તમશેઠ હોય કે ૫૨ભુલાલ હોય, મારે મન તો બસ મારો મોટો જ!’

કીલો જ્યારે આ રીતે સંતોષ વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે એભલ આહીર અને હીરબાઈ વળી આજના અણધાર્યા શુભ પ્રસંગને પરિણામે કીલા કરતાંય અદકી કૃતાર્થતા અનુભવી રહ્યાં હતાં.

એકમાત્ર લાડકોર એની આદત મુજબ, પતિએ પોતાને ઘણી ણી બાબતોથી આજ સુધી અજાણ રાખવા બદલ ઓતમચંદને પ્રેમાળ ઠપકો આપી રહી હતી:

‘તમે તો મીંઢા તે કાંઈ મીંઢા! મને તો આ બધી વાતની ગંધ પણ ન આવવા દીધી!’

પત્ની તરફથી વારંવાર પોકારાતા આ તહોમતનામા અંગે ઓતમચંદ પાસે એક પણ ઉત્તર નહોતો, તેથી એ મૂંગો જ રહેતો હતો. અને પરિણામે, પત્ની વધારે ને વધારે ઉગ્રતાથી ફરિયાદ કર્યા કરતી હતી:

‘તમે તો મૂંગા તે કાંઈ મૂંગા! મોઢામાં જાણે કે મગ જ ભરી રાખ્યા કાંઈ!’

આ પ્રહારો સામે પણ ઓતમચંદ તો મૂંગો જ રહેતો હતો, તેથી લાડકોર વધારે ચિડાતી હતી.

બીજે દિવસે સહુ વાઘણિયા જવા ઊપડ્યાં. ઓતમચંદની એક ઘોડાગાડીમાં તો બધાં ઉતારુઓ સમાય એમ નહોતાં, કેમ કે, એમ ત્રણ નવી વ્યક્તિઓ – નરોત્તમ, ચંપા અને કીલા – નો ઉમેરો થઈ ગયો હતો. તેથી દરબારે પોતાની ઘોડાગાડી હોંશભેર કાઢી આપી. ઓતમચંદે પોતાની ઘોડી અહીં જ રહેવા દીધી, જેથી કીલા સાથે ગાડીમાં બેસીને આખે રસ્તે ગપ્પાં મારી શકાય.

વિદાય વેળાએ સારો મેળો જામ્યો. વળાવનારાઓમાં દરબારથી માંડીને એભલ, હી૨બાઈ ને બીજલ સુધીનાં સ્વજનો હતાં. પોતાની

૪૫૮
વેળા વેળાની છાંયડી