આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યકારની સ્ત્રી !
 


કોને ખબર છે ભાઈ, મારા કરતાં બીજી કોઈ તાસીરના માણસને જો એ પરણી હોત તો એ હજારગણું વધુ સુખી થઈ હોત.”

આ શબ્દોના લખનારે લાખો શબ્દો લખ્યા છે. એ લાખમલાખમાં સર્વથી વધુ સાચા એણે આ શબ્દો લખ્યા.

એ શબ્દો એક અમર સાહિત્યકારના લખેલા છે. પોતાના સંસાર–જીવનનો એમાં તેણે સરવાળો ખેંચ્યો છે. બાવીસ વર્ષના દંપતી–જીવનને અંતે, અગિયાર તો સંતાને થઈ ચૂક્યા પછી, એને અને એના પત્નીને છૂટાછેડા કરવા પડ્યા હતા.

આવી નિષ્ફળતા શા માટે ? પતિ પવિત્ર હતો, પ્રેમાળ અને કર્તવ્યનિષ્ઠ હતો. પત્ની તો પતિની પૂજક હતી. છતાં–બાવીસ વર્ષો અને અગિયાર બાળકોની સમૃદ્ધિ દાખવનાર આ લગ્નજીવન કયા ખડક પર અથડાઈને ભુક્કો થયું ?