આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
વ્યાજનો વારસ
 

 લખપતિ ન થાય…’

‘હું કઉં છું કે થાશે.’ જેઠી લાડ લડાવતી હતી : ‘આભાશાના રિખવ શેઠના જલમ ટાણે હું હાજર હતી. માનવંતીની સુવાવડ મેં કરી તી. રિખવનું લાખું જોઈને મેં કીધું કે શેઠ લખપતિ થાશે ને.…’

આ બનાવ બનતાંની સાથે જ જસપરથી જીવણશા અને એમનો પુત્ર નેમીદાસ મીંગોળાની ભેદી મુલાકાતે આવી ગયા. એમણે એમીના સાસરિયાં જોડે ગુપ્ત મંત્રણાઓ ચલાવી. સાચાખોટા અનેક ભેદભરમો રજૂ કર્યા, ભંભેરણીઓ પણ કરી. અને ધાર્યું કામ પાર પાડે તો આ ભૂંડે હાલ સંધી કુટુંબને સારી એવી રકમ આપીને તરતું કરી દેવાની પણ લાલચ આપતા ગયા.

પત્યું. તાણાવાણા મળી ગયા. શૃંખલાબદ્ધ અંકોડા ગોઠવાઈ ગયા. દીવા જેવો ઉજાસ થઈ ગયો. લગીરે શંકાને સ્થાન ન રહ્યું. કાળાં કામોનો કરનાર રિખવ શેઠ જ, બીજું કોઈ નહિ.

જુવાન સંધીને કાને બધી વાત પહોંચી. કુટુંબ આખાનાં માણસો ધૂંધવાઈ ઊઠ્યાં. એમીની પીઠ ઉપર માછલાં ધોવાયાં. એના ધણીએ એને મરણતોલ માર માર્યો. ઈદનો તહેવાર માથે આવી રહ્યો પણ કોઈના દિલમાં ઉત્સાહ ન રહ્યો.

ત્રણ દિવસથી ગુલુ ગુમ થયો છે. એમી આડુંઅવળું જોઈ થાકી પણ ક્યાંય દીકરો દેખાતો નથી.

*